પાટણ જિલ્લા પંચાયતના દંડક પદેથી મંજુલાબેન રાઠોડને અંતે હટાવાયા
પાટણ વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા જિલ્લા પંચાયતના દંડક મંજુલાબેન રાઠોડ વિરુદ્ધ વિધાનસભાની ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી કાર્ય કરવા અંગેની ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદ કરવામાં આવ્યા પછી પણ કોઇ પગલા લેવામાં ન આવતા ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા રાજીનામાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. જેને લઇને ગુજરાત કોંગ્રેસ એક્શનમાં આવી છે અને મંજુલાબેન રાઠોડને તાત્કાલિક અસરથી જિલ્લા પંચાયતના દંડક પદેથી હટાવવામાં આવ્યા છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મુંજલાબેન રાઠોડને આ અંગેનો પત્ર પાઠવવામાં આવ્યો છે. આ પત્રમાં જણાવવામાં આવ્યું છેકે, 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેમના દ્વારા પાટણ વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર વિરુદ્ધ કામ કરવામાં આવ્યું હોવા અંગેની લેખિત ફરિયાદ થઇ હતી. જે હાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની શિસ્ત સમિતિ સમક્ષ પડતર છે.
આ ફરિયાદનો નિકાલ ન થાય ત્યાં સુધી શિસ્ત સમિતિના નિયમ મુજબ જેની સામે ફરિયાદ થઇ હોય તેને કોઇપણ જાતનો હોદ્દો આપી શકાય નહી. મંજુલાબેન રાઠોડ વિરુદ્ધની ફરિયાદ પડતર હોવાથી અને આ ફરિયાદનો નિકાલ ન આવે ત્યાં સુધી તેમને પાટણ જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના દંડક પદેથી તાત્કાલિક અસરથી દૂર કરવાનો પક્ષ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.