તાલાલા પાસે બાઇક અકસ્માતમાં ઘવાયેલા કેરીના વેપારીનું મોત
તાલાલામાં રહેતા કેરીના વેપારી પોતાનું બાઈક લઇને ધણેજ ગામથી તાલાળા જઈ રહ્યા હતા ત્યારે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વેપારી આધેડનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ તાલાળામાં આવેલા વૃંદાવન એપાર્ટમેન્ટમાં રહેતા કૃષ્ણદાસ લક્ષમણભાઇ પાંચાણી નામના 58 વર્ષના આધેડ ધણેજ ગામથી તાલાળા પોતાનું બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે સવારના અરસામાં તાલાળા પાસે બે બાઈક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા આધેડને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગ રાજકોટ પોલીસે તાલાળા પોલીસની જાણ કરતા તાલાળા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી આધેડના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક કૃષ્ણદાસ પાંચાણી ત્રણ ભાઈ અને ત્રણ બહેનમાં વચ્ચેટ હતા. અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. મૃતક આધેડ તાલાળા માર્કેટ યાર્ડમાં કેરીનો વેપાર કરતાં હતા અને ઘેર પરત જતા હતા ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.