લોધિકાના માખાવડ ગામે 40 કરોડની સરકારી જમીન પરનું દબાણ હટાવાયું
- મામલતદારની આગેવાની હેઠળ 31 એકર સરકારી જમીન ખુલ્લી કરાવી
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણી પહેલા જ જિલ્લા કલેકટર પ્રભવ જોષીના આદેશથી રાજકોટ શહેર અને જિલ્લામાં સરકારી જમીન પરના થયેલા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે લોધિકા મામલતદારે પણ માખાવડ ગામે 40 કરોડની 31 એકર સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતાં.
રાજકોટ શહેર અને આજુબાજુના વિસ્તારોમાં જમીનના ભાવ આસમાને પહોંચી જતાં જમીન કૌભાંડ કારો દ્વારા સરકારી જમીન પર કબજો જમાવી બારોબાર વેચી નાખતાં હોવાનો જિલ્લા કલેકટર પ્રભવ જોષીનાં ધ્યાન પર આવતાં સરકારી જમીન પરના દબાણો દૂર કરવા દરેક મામલતદારોને ખાસ સુચના આપી છે.
રાજકોટ શહેરમાં તાલુકા મામલતદાર દ્વારા છેલ્લા છ માસથી સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી યુધ્ધના ધોરણે કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ નજીક લોધિકા તાલુકાના માખાવડ ગામે પણ 40 કરોડની કિંમતી સરકારી જમીન પર ખેડૂતો અને અન્ય ભુમાફીયાઓ દ્વારા દબાણો કરી સરકારી જમીન પર કબજો કરી લીધા હોવાનું ધ્યાન પર આવ્યું હતું.
જેના આધારે લોધિકા મામલતદારે તમામ દબાણકર્તાઓને આખરી નોટિસ ઈસ્યુ કર્યા બાદ પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલીશન હાથ ધરી માખાવડ ગામની સીમમાં આવેલ જુદી જુદી 31 એકર સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતાં અને ખેડૂતોએ વાળી લીધી સરકારી જમીન પણ ખુલ્લી કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત અમુક દબાણકર્તાઓએ કાચા પાકા મકાનો બનાવી લીધા હોય જેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.