શિક્ષણ પરીક્ષાલક્ષી નહીં સ્કીલ બેઝ્ડ બનાવો
ભારતમાં શિક્ષણનું સ્તર નીચે ને નીચે ઊતરતું જાય છે અને નીટ જેવી પરીક્ષાઓ પણ શંકાના દાયરામાં આવી ગઈ છે ત્યારે શિક્ષણનું સ્તર કઈ રીતે સુધારવું તેની ચિંતા કરવાના બદલે નવા નવા અને શિક્ષણની વાટ લગાડનારા તુક્કા વહેતા કરાય છે. આવો જ એક તુક્કો નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ દ્વારા વહેતો કરાયો છે. એનસીઈઆરટીના પરખ યુનિટે હમણાં શિક્ષણ મંત્રાલયને સોંપેલા એક રિપોર્ટમાં ભલામણ કરી છે કે, બારમા ધોરણની બોર્ડની પરીક્ષાના આધારે જ માર્કશીટ તૈયાર કરવાના બદલે ધોરણ 9મા, 10મા અને 11મા ધોરણના માર્કસ 12મા ધોરણના રિપોર્ટ કાર્ડમાં ઉમેરીને તેના આધારે ધોરણ 12માનું પરિણામ તૈયાર કરવું જોઈએ. ધોરણ 12માના રિપોર્ટ કાર્ડમાં કમ્બાઈન્ડ એસેસમેન્ટ, ફોર્મેટિવ એસેસમેન્ટ, ગ્રુપ ડિસ્કશન, પ્રોજેક્ટ અને ટર્મ એક્ઝામને પણ વેઇટેજ આપવામાં આવે એવી ભલામણ પણ કરાઈ છે.
સૈદ્ધાંતિક રીતે આ ભલામણ સારી છે તેનો ઈન્કાર ના કરી શકાય. તેનું કારણ એ કે, આ ભલામણનો અમલ કરાય તો વિદ્યાર્થીઓ પર બારમા ધોરણની પરીક્ષાનો બોજ ઘટે, બોર્ડની પરીક્ષાનું પ્રેશર ઘટે. અત્યારે જે સ્થિતિ છે તેમાં બારમા ધોરણની બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ લાવવાનું વિદ્યાર્થીઓ પર જબરદસ્ત દબાણ હોય છે કેમ કે બારમા ધોરણની પરીક્ષાના આધારે કારકિર્દી કઈ દિશામાં આગળ વધશે એ મોટા ભાગનાં છોકરાંના કિસ્સામાં નક્કી થતું હોય છે. આ રીતે જોઈએ તો કાગળ પર આ સ્કીમ સારી લાગે પણ વાસ્તવિક રીતે આ સ્કીમ ભ્રષ્ટાચારને પોષનારી છે. આ રીતે રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં બે બોર્ડની અને બે સ્કૂલની પરીક્ષા આવે છે. ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા બોર્ડ લે છે જ્યારે ધોરણ 9 અને ધોરણ 11ની પરીક્ષા સ્કૂલ લેતી હોય છે. સ્કૂલ દ્વારા લેવાતી પરીક્ષામાં કેવી ગરબડો ચાલતી હોય છે એ કહેવાની જરૂૂર નથી.
એનસીઈઆરટીએ વધારે ધ્યાન શિક્ષણને સ્કીલ બેઝ્ડ કઈ રીતે કરી શકાય તેના પર આપવાની જરૂૂર છે, શિક્ષણને વધારે વાસ્તવવાદી અને ટેકનોલોજી આધારિત બનાવવાની છે. તેના બદલે આપણે તો પરીક્ષાની આસપાસ જ ગરબા ગાયા કરીએ છીએ. એ બધું બાજુ પર મૂકીને બાળકો પહેલા ધોરણથી સ્કીલ ડેવલપ કરે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અત્યારે કોમ્પ્યુટર સાયન્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવા વિષયોની માગ છે તો તેને અનુરૂૂપ અભ્યાસક્રમો ભણાવીને શિક્ષણની તરાહને સંપૂર્ણપણે બદલી નાખવી જોઈએ.