અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ઈન્ડિગોની ફ્લાઈટમાં અચાનક આગ લાગતા પાયલોટે આપ્યો 'મેડે' કૉલ
અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના બનતા ટળી. અમદાવાદમાં દીવ માટે ટેકઓફ કરવા જતી ઇન્ડિગોની ફ્લાઇટના એન્જિનમાં અચાનક આગ લાગી હતી. ફ્લાઈટમાં કૂલ 60 પ્રવાસીઓ સવાર હતા. આગ લાગવાની જાણ થતા જ પાયલોટે તુરંત એટીસીને મેડે કોલ આપ્યો હતો અને પ્લેનને ટેકઓફ કરતા રોકવામાં આવ્યું હતું. ત્યાર બાદ તમામ પ્રવાસીઓને વિમાનમાંથી સુરક્ષીત બહાર કાઢીને ફ્લાઈટને કેન્સલ કરવામાં આવી હતી. આ ફ્લાઇટ ATR76 હતી જેને સવારે 11 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ કરવાનું હતું.
ઈન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 'આજે સવારે 11.00 કલાકે અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની ફ્લાઈટ નંબર ATR76 ટેકઓફ થવાની હતી. જોકે ફ્લાઈટમાં ટેકનીકલ ખામીની જાણ થતાં જ ફ્લાઈટ રદ કરી દેવાઈ છે.’ રિપોર્ટ મુજબ એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી) દ્વારા ફ્લાઈટને ક્લિયરન્સ પણ મળી ગયું હતું, ત્યારબાદ ફ્લાઈટે રન-વે પર રોલિંગ શરૂ કરી દીધું હતું. રોલિંગ બાદ પ્લેન ટેકઓફ થઈ જાય છે, જોકે આ દરમિયાન ફ્લાઈટના એન્જિનમાં આગ લાગી હતી. ત્યારબાદ પાયલટે તાત્કાલીક સમયસૂચકતા દાખવી એટીસીને મેડે કોલ આપ્યો હતો અને ફ્લાઈટના અટકાવી દીધી હતી.
એરલાઇને ગ્રાહકોને થયેલી મુશ્કેલી બદલ દુ:ખ વ્યક્ત કર્યું હતું અને તેમને રિફ્રેશમેન્ટ આપી બીજી ફ્લાઇટથી રવાના કરવા અથવા રિફંડની રજૂઆત કરી હતી. પાયલટની સમયસૂચકતાના કારણે ફ્લાઈટના તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે.