સિવિલમાં પ્રજાના પૈસાની લૂંટ : ફાયર સેફટી કોન્ટ્રાકટમાં 3.54 કરોડનું કૌભાંડ
તાત્કાલિક સિવિલ સર્જન ત્રિવેદી, વહીવટી અધિકારી અને કોન્ટ્રાકટ એજન્સીની મિલીભગત: કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવી યોગ્ય રજૂઆત કરી આકરી કાર્યવાહી કરવા માંગ
સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ સિવિલ હોસ્પીટલમાં પ્રજાના પૈસા લુંટાતા હોય તેમ અધિકારીઓની સાંઠગાંઠથી કરેલું કૌભાંડ આચરાયું હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. તત્કાલીન સિવિલ સર્જન ત્રિવેદી, વહીવટી અધિકારી અને કોન્ટ્રાકટર એજન્સીએ મળી ફાયર સેફટી કોન્ટ્રાકટમાં 3.54 કરોડનું કૌભાંડ આચર્યું હતું. ફાયરના કોઇ નવા સાધનો ખરીદવામાં આવ્યા ન હોવા છતાં માત્ર સાડા ત્રણ વર્ષના મેઇન્ટેનેન્સ પેટે રૂા.3.54 કરોડ ચુકવવામાં આવ્યા હતા. જેથી કોંગ્રેસ દ્વારા સિવિલ સર્જનને આવેદન પત્ર પાઠવી નારાબાજી કરવામાં આવી હતી અને આકરી કાર્યવાહી કરવા માંગ કરી છે.
સિવિલ હોસ્પિટલમાં તત્કાલીક સિવિલ સર્જન આર.એસ. ત્રિવેદી, વહીવટી અધિકારી, આરએમઓ અને ફાયર એજન્સી વિશ્ર્વાસ ગૃપ ઓફ કંપની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો અંગે શહેર કોંગ્રેસ દ્વારા સિવિલ સર્જન મોનાલી માંકડીયાને આવેદન પત્ર પાઠવી રજુઆત કરી છે અને ભાજપના રાજમાં કરોડોનું ફાયર સેફટી કૌભાંડ, કેબીનેટ મંત્રી, ધારાસભ્ય, સાંસદ જવાબ આપે. ભ્રષચારી આરોગ્ય મંત્રી, લકવાગ્રસ્ત આરોગ્ય તંત્રના નારા લગાવ્યા હતા.
રજુઆતમાં જણાવ્યા મુજબ વર્ષ 2019-2020માં વિશ્વાસ ગૃપ ઓફ કંપનીને વાર્ષિક ધોરણે મેઈન્ટેનન્સના કોન્ટ્રાકટમાં ટેન્ડરની શરતો મુજબ આખી હોસ્પીટલનું ફાયર મેઈન્ટેનન્સ કરવાનું હતું. પછી શા માટે વિભાગ પ્રમાણે બીલો મુકી પાસ કરાવવામાં આવ્યા. વર્ષ 2020-2021ના નવા ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા ત્યારે આ કામની અલગ અલગ એજન્સીઓ દ્વારા ત્રણ ગણા ભાવ વધુ હોય તેમ કહી પરચેઝ કમિટિએ નામંજુર કરેલુ અને શંકાજનક રીતે 2024 સુધી વિશ્વાસ એજન્સી પાસે જ કામગીરી કરાવવામાં આવી, બીજી-કે-ત્રીજીવાર ટેન્ડર પ્રસિધ્ધ કરી નવી એજન્સી માટે કોઈજ નિયમ અનુસાર કાર્યવાહી શા માટે કરવામાં ન આવી?
ફાયર મેઈન્ટેનન્સ કોન્ટ્રાકટમાં પી.ડી.યુ. હોસ્પીટલની કુલ કેટલી બીલ્ડીંગનો સમાવેશ કરવામાં આવેલા અને આ બીલ્ડીંગોનું વિંગ મુજબ વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવેલું તે અંગે કોન્ટ્રાકટમાં આ બાતનો કેટલા નંબરની શરતમાં સમાવેશ કરવામાં આવેલ હતો.
ફાયર સેફટી મેઈન્ટેનન્સની 1 વર્ષમાં કેટલી સર્વિસ આપવા નક્કી કરવામાં આવેલી અને પ્રતિ સર્વિસના મંજુર થયેલ ભાવ કેટલા હતા તેમજ પ્રમાણપત્ર રજુ કરવાનો સમય શું નક્કી કરવામાં આવ્યો હતો. ફાયર મેઈન્ટેનન્સ કોન્ટ્રાકટરને કુલ ચુકવવામાં આવેલ નાણા રૂૂા. 3,54,32,638 કયા પ્રકારનું મેઈન્ટેનન્સ કરવામાં આવ્યું. ફાયરના સાધન સામગ્રી ખરીદીના કુલ કેટલા બીલ આવ્યા, ખરીદી અંગે કુલ કેટલી રકમ ચુકવી, તા. 03/07/2021 એ.ડી. શાખા વિશ્વાસ ગૃપ ઓફ કંપની, બીલ નંબર 11 થી તા. 29/06/2021, બીલ નં. 15 તા. 29/06/2021 કુલ રકમ રૂૂા. 18,90,596ના બીલ ચુકવણા બાબતે કર્મચારી દ્વારા ફાયર મેઈન્ટેનન્સ કામની પેઢી દ્વારા બીલ મુકવા બાબતે ગેરરીતી જણાય છે. તે બાબતની જાણકારી ટેન્ડરને કમિટિમાં રીવેરીફાઈ કરી પુન:વિશેષ ચકાસણી કરવા જણાવેલ તે પત્રનો વિગતો ચકાસવી.
ફાયર સેફટી મેઈન્ટેનન્સના કોન્ટ્રાકટમાં ટેન્ડર રીન્યુ કરવાથી લઈ પ્રતિ વર્ષ ફકત એકવાર ચુકવણીના બદલે દર ત્રણ માસ અને અલગ અલગ પ્રતિ બીલ્ડીંગ બીલો બનાવી રૂૂા. 3,54, 32, 638 જેવી કરોડો રૂૂપિયાની રકમ આ કામની એજન્સી સાથે મળી ગુન્હાહીત કૃત્ય આચનાર તત્કાલીન સિવિલ સુપ્રીન્ટેન્ડન્ટ, ટેકનીકલ સુપરવાઈઝર, વહીવટી અધિકારી અને આર.એમ.ઓ. સામે ફરજ મોકુફી સહીતની કાર્યવાહી કરી ગેરકાયદેસર ચુકવાયેલનાણા પરત મેળવવાની કાર્યવાહી કરવી તેમજ આ કામની એજન્સી વિશ્વાસ ગૃપ ઓફ કંપની સામે પણ નિયમ અનુસાર કાર્યવાહી કરવા માંગ કરી છે.
આ રજુઆતમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતીના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયા, હાથ સે હાથ જોડો પ્રમુખ કલ્પેશ કુંડલીયા, સંજય અજુડીયા, અશોકસિંહ વાઘેલા, ઠાકરશી ગજેરા, જસવંતસિંહ ભટ્ટી હાજર રહ્યા હતા.