લોકમેળાના સ્ટોલ, પ્લોટની હવે સંભવત: આવતીકાલે હરાજી, ગૂંચવાડો યથાવત્
રાજકોટમાં જન્માષ્ટમીના તહેવારો દરમિયાન યોજાનાર પાંચ દિવસના લોકમેળામાં યાંત્રિક આઇટમોના ધંધાર્થીઓ માટે નથી ગાઇડલાઇન તથા આઇસ્ક્રિમના સ્ટોલ્સના જીએસટીના પ્રશ્ર્ને કલેકટર તંત્ર સાથે સર્જાયેલી મડાગાંઠ ગયાવત રહેતા હવે લોકમેળાના સ્ટોલ અને પ્લોટની આવતી કાલ તા.8 ઓગષ્ટના રોજ સંભવિત હરરાજી રાખવામાં આવી છે.
ગઇકાલે મડાગાંઠ ઉકેલવા તંત્ર અને ધંધાર્થીઓ વચ્ચે યોજાયેલ બેઠક પડી ભાંગી હતી. બંન્ને પક્ષ પોતપોતાની માંગણીઓમાં અડગ રહેતા આજે પણ સમાધાનના પ્રયાસો હાથ ધરાયા છે. ધંધાર્થીઓને તંત્ર દ્વારા સ્ટ્રકચર સર્ટિફિકેટ માટે જરૂરી ટેકનિકલ સપોર્ટ આપવા તૈયારી દર્શાવાઇ હતી આમ છતા ધંધાર્થીઓ અડગ રહેતા ગઇકાલની બેઠક નિષ્ફળ ગઇ હતી.
લોકામેળાની સમિતિની નવી યાદીમાં જણાવાયું છે કે, લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા જન્માષ્ટમીના પર્વ નિમિત્તે તા. 24થી 28 ઓગસ્ટ દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળામાં વિવિધ પ્લોટ તેમજ સ્ટોલની સંભવિત હરરાજી આગામી તા. 8 મી ઓગસ્ટ ને ગુરુવારના રોજ બપોરે 3:30 કલાકે યોજાશે.
જેમાં 1. એ- ખાણીપીણી, 2. બી-1 કોર્નર ખાણી-પીણી, 3. કેટેગરી એક્સ આઈસક્રીમ, 4. કેટગરી-ઝેડ (ઝેડ ટી કોર્નર), 5. કેટેગરી-ઈ (ઈ યાંત્રિક), 6. કેટેગરી-એફ (એફ યાંત્રિક), 7. કેટેગરી-જી (જી યાંત્રિક), 8. કેટેગરી-એચ (એચ યાંત્રિક)ના સ્ટોલ પ્લોટની હરરાજી, રાજકોટ શહેર પ્રાંત-1 કચેરી ખાતે બપોરે 3:30 કલાકથી હરરાજી પૂર્ણ થાય ત્યાં સુધી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વહીવટી અનુકૂળતા મુજબ આ સંભવિત હરરાજીના કાર્યક્રમમાં ફેરફાર પણ થઈ શકે છે, તેમ લોકમેળા અમલીકરણ સમિતિ અને રાજકોટ શહેર-1 નાયબ કલેક્ટરની યાદીમાં જણાવાયું છે.