મોરબીમાં તસ્કરરાજ, મહેન્દ્રનગર ચોકડીએ 15 દુકાનના તાળાં તૂટ્યા
મોરબી પંથકમાં અસામાજિક તત્વો અને તસ્કરોને કાયદાનો કોઈ ડર રહ્યોના હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે તસ્કરો માટે મોરબી મોકળું મેદાન બની રહ્યું હોય તેમ મહેન્દ્રનગર ચોકડીએ એક જ રાત્રીમાં 15થી વધુ દુકાનના તાળા તોડી તસ્કરોએ પોલીસને ખુલ્લી ચેલેન્જ કરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મહેન્દ્રનગર ચોકડી પાસે મોડી રાત્રીના 15થી વધુ દુકાનના તાળા તૂટ્યા હતા શીયાળા દરમિયાન તસ્કરોએ અનેક સ્થળોએ ચોરીને અંજામ આપ્યો હતો અને પોલીસ નાઈટ પેટ્રોલિંગના ગાણા ગાયા હતા પરંતુ ખરેખર નાઈટ પેટ્રોલિંગ કેવું કરાય છે તેનો જીવતો પુરાવો મળી ગયો છે ગત રાત્રીના મહેન્દ્રનગર ચોકડીએ એક સાથે 15 થી વધુ દુકાનના તાળા તૂટ્યા હતા અને જે સ્થળે તાળા તોડવામાં આવ્યા તે મહેન્દ્રનગર ચોકડીથી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન માત્ર અડધાથી પોણો કિલોમીટરના અંતરે આવેલ છે.
પોલીસ સ્ટેશન આટલું નજીક હોવા છતાં તસ્કરોની હિમત તો જુઓ કે એક બે નહિ પરંતુ 15 થી વધુ દુકાનના તાળા તસ્કરોએ તોડ્યા હતા જે દુકાનમાંથી રોકડ રકમ અને પરચુરણની ચોરી થયાનું જાણવા મળ્યું છે છાશવારે ચોરીના બનાવો બનતા રહે છે અને તસ્કરો ખુલ્લે આમ ખાખીને પડકાર ફેંકી રહ્યા છે પરંતુ પોલીસ આવા ઇસમોને ડામવામાં સરેઆમ નિષ્ફળ રહી છે પોલીસના નાઈટ પેટ્રોલિંગના દાવાની પણ પોલ ખુલી છે.