વીંછિયાના કોટડા ગામે વ્યાજખોરોના ત્રાસથી દંપતીએ ઝેર ઘોળ્યું : પ્રૌઢનું મોત ; 7 સામે નોંધાતો ગુનો
- લોખંડની ફેક્ટરી ધરાવતા યુવકે ધંધા માટે 1.58 કરોડ વ્યાજે લીધા બાદ ગામ છોડ્યુંં : વ્યાજખોરોએ દંપતીને ઘરે જઈ ધમકાવતાં અંતે ઝેર પીધું : મહિલાની હાલત ગંભીર
રાજકોટ જિલ્લાના જસદણ વિંછીયા પંથકમાં વ્યાજખોરોનો ફરી ત્રાસ વધી ગયો છે હજુ ગઈકાલે જ મિત્રએ વ્યાજે લીધેલા એક લાખ રૂપિયામાં જામીન પડેલા યુવાનનું અપહરણ કરી ગોંધી રાખી માર માર્યો હતો. જે કિસ્સો હજુ તાજો જ છે ત્યાં વિંછીયાના કોટડા ગામે વ્યાજખોરોના ત્રાસથી કારખાનેદારે ગામ છોડયા બાદ તેના પિતા અને માતાના ઘરે જઈ વ્યાજખોરો ધમકાવતાં હોય અંતે દંપતિએ ઝેરી દવા ગટગટાવી લેતાં પ્રૌઢનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે સાત વ્યાજખોરો સામે ગુનો નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ, વિંછીયાના કોટડા ગામે રહેતા હિતેશભાઈ અશોકભાઈ ગોહિલ (ઉ.24) નામના કોળી યુવાને પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સાયલાના ગરાંભડીના દેવાભાઈ ભીમશીભાઈ ખાંભલા, હાથસણી ગામના માત્રાભાઈ હાડગરડા, ગોરાભાઈ હાડગરડા, પીપરડી ગામના ધનજીભાઈ, હાથસણી ગામના સુરાભાઈ વકાતર, મોટી લાખાવડના રણછોડ ઉર્ફે હસો સગરામભાઈ સાંબડ અને અમરાપુરના ગુણુભાઈનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સાત વ્યાજખોરોના ત્રાસથી ફરિયાદીના પિતા અશોકભાઈ કરશનભાઈ ગોહિલ (ઉ.45) અને તેમના પત્નીએ ગઈકો સ્યુસાઈડ નોટ લખી સજોડે ઝેરી દવા પી લેતાં દંપતિને ગંભીર હાલતમાં જસદણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં અશોકભાઈ ગોહિલનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.આ બનાવની ફરિયાદીને જાણ થતાં વિંછીયા પોલીસ મથકના સાત વ્યાજખોરો સામે સતત અસહ્ય ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપતાં હોય અને વ્યાજખોરોના ત્રાસથી માતા-પિતાએ ઝેરી દવા પીધી હોવાનું જણાવતાં પોલીસે કારખાનેદારની ફરિયાદ પરથી આપઘાતની ફરજ પાડવા અંગેનો ગુનો દાખલ કર્યો હતો.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી હિતેશ ગોહિલ જસદણના ગઢડીયા રોડ પર મેકસ મેટલ નામની લોખંડની ફેકટરી ચલાવતો હોય ધંધા માટે દોઢ વર્ષ પહેલા દેવાભાઈ ખાંભલા પાસેથી 1.23 કરોડ, રણછોડ ઉર્ફે હસા પાસેથી 14 લાખ, ગોરાભાઈ અને તેના માસિયાઈ ધનજીભાઈ ભરવાડ પાસેથી આઠ લાખ, માત્રાભાઈ 7 લાખ, સુરાભાઈ પાસેથી 1 લાખ, ગુણુભાઈ પાસેથી 1.30 લાખ મળી કુલ 1.58 કરોડ વ્યાજે લીધા હતાં. જે રકમ ચુકવી દીધા હોવા છતાં વ્યાજખોરો વધુ વ્યાજની માંગણી કરી ધમકાવતાં હોય જેના કારણે બે મહિના પહેલા કારખાનેદારે ગામ છોડી દીધું હતું. બાદમાં વ્યાજખોરો ઘરે જઈ માતા-પિતાને ધમકાવતાં હતાં.
સ્યૂસાઈડ નોટ અને મોબાઈલમાંથી વીડિયો મળ્યા
વિંછીયાના કોટડા ગામે રહેતા દંપતિએ વ્યાજખોરોના ત્રાસથી સજોડે ઝેરી દવા ગટગટાવી લીધી છે ત્યારે પોલીસને ઘરેથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી જેમાં ‘મારે દવા પીવાનું કારણ મારા દિકરાએ વ્યાજે પૈસા લીધા છે, દેવાભાઈ, માત્રાભાઈ, ગોરાભાઈ, સુરાભાઈ, ગુણુભાઈ, હસાભાઈ બધાને સજા થવી જોઈએ, આ બધા પૈસા માંગે છે એટલે અમે અંતિમ પગલું ભરી છી’, જ્યારે સ્યુસાઈડ નોટમાં ફોનનો પાસવર્ડ નંબર 1076 લખેલો હતો અને મોબાઈલમાંથી વિડિયો પણ મળી આવ્યા હતાં જે પોલીસે કબજે કર્યા છે.