કુબલિયાપરામાં વ્યાજની ઉઘરાણીમાં ફઇ-ભત્રીજા ઉ5ર વ્યાજખોર મહિલા સહિતનાનો છરી વડે હુમલો
- પરિણીતા અને તરુણને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
શહેરમાં વ્યાજના વરૂઓ બેફામ બન્યા હોય તેમ અવાર-નવાર વ્યાજખોરોના કારણે અનેક લોકોએ જીવન ટૂંકાવી લીધા હોવાના અને વ્યાજખોરોએ અનેક લોકો પર હુમલા કર્યા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં કુબલિયાપરા વિસ્તારમાં વ્યાજખોર મહિલા સહિતના શખ્સોએ વ્યાજની ઉઘરાણી કરી ફઈ ભત્રીજા ઉપર છરી અને પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલી પરિણીતા અને તરુણને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કુબલીયાપરા વિસ્તારમાં રહેતી નંદનીબેન વિજયભાઈ સોલંકી (ઉ.વ.23) અને તેનો ભત્રીજો તુષાર નિતેશભાઇ પરમાર (ઉ.વ.13) પોતાના ઘર પાસે હતા ત્યારે રાત્રીના નવેક વાગ્યાના અરસામાં આશાબેન સહિતના શખ્સોએ ઝઘડો કરી છરી અને પાઇપ વડે હુમલો કર્યો હતો હુમલામાં ઘવાયેલા ફઈ ભત્રીજાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતા થોરાળા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં નંદનીબેન અને તેના પતિ વિજયભાઈ સોલંકીએ આશાબેન પાસેથી ચાર મહિના પહેલા 10 ટકાના વ્યાજ રૂૂ.20 હજાર લીધા હતા અને વ્યાજ નહીં ચૂકવી શકતા વ્યાજખોર આશાબેન સહિતના શખ્સોએ વ્યાજની ઉઘરાણી કરી ફઈ-ભત્રીજા ઉપર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે થોરાળા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.