ખંભાળિયાના આહિર અગ્રણી એભાભાઈ કરમુરની કોંગ્રેસને અલવિદા: ભાજપમાં જોડાય તેવી શક્યતા
ખંભાળિયાના પીઢ કોંગ્રેસી આગેવાની તેમજ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય એભાભાઈ કરમુરે આજરોજ કોંગ્રેસમાંથી સ્વૈચ્છિક રીતે રાજીનામું આપી દીધું છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોંગ્રેસમાં સોંપો પડી ગયો છે.આહિર જ્ઞાતિના પીઢ અગ્રણી એભાભાઈ કરમુરે વર્ષ 1995 થી સક્રિય રીતે કોંગ્રેસમાં તેમની કામગીરી શરૂ કરી હતી. તેઓ જિલ્લા પંચાયતમાં ચાર વખત ચૂંટણી લડીને ત્રણ વખત ભાજપ સામે વિજેતા બન્યા હતા. છેલ્લા આશરે અઢી દાયકાથી તેઓ માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર તેમજ અને સહકારી અને શૈક્ષણિક સંસ્થાના હોદ્દેદાર છે. "પરિશ્રમ ગ્રુપ" વારા એભાભાઈ કરમુર વેપારીઓ ક્ષેત્રમાં પણ સારું એવું નામ ધરાવે છે.
1995 માં તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરનારા એભાભાઈ કરમુર પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમના અંગત વિશ્વાસુ છે. વર્ષ 2012માં તેઓ તત્કાલીન ધારાસભ્ય અને વર્તમાન સાંસદ પૂનમબેન માડમ સામે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા.આજરોજ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા જણાવ્યું હતું કે "કોંગ્રેસની દુકાન બંધ થઈ રહી છે અને લોકો કોંગ્રેસને ઈચ્છતા નથી. ત્યારે પ્રજાલક્ષી કાર્યો કરવા હવે કઠિન જણાય છે. રાજ્યકક્ષાએ કોંગ્રેસના પાયાના કાર્યકર અર્જુનભાઈ મોઢવાડિયા જેવા મજબૂત ધારાસભ્યો વિગેરે પણ હવે પક્ષ છોડી રહ્યા છે જેથી મેં પણ રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના મોવડી મંડળ પ્રત્યે મને કોઈ અસંતોષ કે રાગદ્વેષ નથી." તેઓએ ભાજપમાં જોડાવાના છે કે કેમ તે પ્રશ્નનો પ્રત્યુતર આપતા જણાવ્યું હતું કે મારા સાથી ટેકેદારો, કાર્યકરો અને વિશ્વાસુઓ સાથેની ચર્ચા વિચારણા તેમજ તેમના મંતવ્ય બાદ ભાજપમાં જોડાવાનું તેઓ નક્કી કરશે તેમ વધુમાં ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકાના પીઢ કોંગી આહીર અગ્રણી મુળુભાઈ કંડોરીયાના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ વધુ એક કોંગી આગેવાને કોંગ્રેસને રામ રામ કહેતા હવે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કોંગ્રેસના પાયા હવે ડગમગી રહ્યા છે.