For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેતન ઈનામદારનું રાજીનામું ડ્રામા કે કાર્યકરોની વેદના?

04:28 PM Mar 19, 2024 IST | Bhumika
કેતન ઈનામદારનું રાજીનામું ડ્રામા કે કાર્યકરોની વેદના
  • બહારથી આવેલાઓને ‘પોંખવા’ નેતાઓની લાઈન લાગે છે, વર્ષોથી ભાજપમાં મજૂરી કરતા કાર્યકરોનો કોઈ ભાવ પૂછતું નથી
  • સાવલી તાલુકા પંચાયતના પ્રમુખે પણ ફેંક્યું રાજીનામું, સભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો પણ રાજીનામા ફેંકવા તૈયાર
  • પાટીલે પ્રભારી મંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક યોજી ઈનામદારને ગાંધીનગર બોલાવ્યા, રિસામણા-મનામણા શરૂ થતાં સાંજ સુધીમાં ઘીના ઠામમાં ઘી?
  • કેતન ઈનામદારે રાજીનામાની પ્રક્રિયા પૂરી કરી નથી, અધ્યક્ષને હાથો હાથ રાજીનામું આપવું પડે, ચાર વર્ષ પહેલાં પણ કરી ચૂક્યા છે ખેલ

લોકસભાની ચૂંટણી સમયે જ ભાજપના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે અડધી રાત્રે રાજીનામાનો ઈ-મેઈલ કરી અંતરાત્માના અવાજને માન આપ્યાનું જણાવતા વડોદરા ભાજપમાં અંદરખાને પ્રવર્તતો રોષ બહાર આવ્યો છે. અને કેતન ઈનામદાર બાદ વાલજી રબારીએ પણ રાજીનામું આપ્યું છે. જ્યારે સાવલી તાલુકાના પ્રમુખ સહિત આખી બોડીએ પણ રાજીનામા આપી દીધા છે. સાથો સાથ પંદર સરપંચોએ રાજીનામા ધરી દીધા છે. આ ઉપરાંત પાંચેક હજાર કાર્યકરોના રાજીનામાની ચીમકીને પગલે મામલો ભારે ગરમાઈ ગયો છે.

Advertisement

બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સમગ્ર મામલો હાથમાં લઈ કેતન ઈનામદારની નારાજગી અંગે વડોદરાના પ્રભારીમંત્રી હર્ષ સંઘવી સાથે તાબડતોબ બેઠક યોજી હતી અને ચર્ચા કરી હતી ત્યાર બાદ કેતન ઈનામદારને મનાવવાની જવાબદારી વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખને સોંપાઈ હોવાનું જાણવા મળે છે આ ઉપરાંત હકુભા અને રાજેશ પાઠકને તાબડતોબ સાવલી દોડાવાયા છે અને ભાજપ પ્રમુખ પાટીલે પણ ઈનામદારને તેડુ મોકલતા તેઓ બપોરે ગાંધીનગર જવા નિકળ્યા હતાં.

સાવલીના ધારાસભ્યએ રાજીનામું આપ્યાની વાત આગની માફક ફેલાઈ જતાં કેતન ઈનામદારના સમર્થકો સાવલીમાં તેના કાર્યાલયે ઉમટી પડ્યા હતા અને ભાજપની ટોચની નેતાગીરી સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરતા જોવા મળ્યા હતાં. કેતન ઈનામદારે કાર્યકરોના મનમાં પડેલી આગને જાણે ફૂંક મારી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.જો કે, ભાજપના અમુક લોકો કેતન ઈનામદારના આ રાજીનામાને પ્રેશર ટેક્નિક ગણાવી રહ્યા છે અને અગાઉ પણ કેતન ઈનામદાર રાજીનામાનો આવો ડ્રામા કરી ચૂક્યાનું જણાવી રહ્યા છે. કેતન ઈનામદારને પણ ખબર છે કે, વિધાનસભા અધ્યક્ષને હાથોહાથ રાજીનામું આપવામાં આવે તો જ માન્ય ગણાય છે, પરંતુ તેણે રાજીનામું જાણી જોઈને ઈ-મેઈલ ઉપર આપ્યું છે.

Advertisement

ચાર વર્ષ પહેલા પણ કેતન ઈનામદારે ધારાસભ્યભદેથી રાજીનામું આપતો પત્ર અધ્યક્ષને લખ્યો હતો અને સમજાવટ બાદ રાજીનામું પરત ખેંચી લીધું હતું.જ્યારે ભાજપનો જ અન્ય એક વર્ગ કેતન ઈનામદારના રાજીનામાને ભાજપના કાર્યકરોની વેદના ગણાવી રહ્યા છે. હાલમાં કોંગ્રેસમાંથી આવેલાઓને સોંપવા નેતાઓ લાઈન લગાવે છે જ્યારે ભાજપમાં વર્ષોથી મજુરી કરતા નેતાઓનો કોઈ ભાવ પુછતું નથી તેવી સ્થિતિ છે.રાજકીય મોરચે ચાલતી ચર્ચા પ્રમાણે તાજેતરમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા કુલદીપસિંહ રાહુલજીને પ્રદેશ પ્રમુખે ભાજપમાં એન્ટ્રી કરાવતા કેતન ઇનામદારે વિરોધ કર્યો હતો અને તે સમયે પણ રાજીનામું આપી દેવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારબાદ કુલદીપ સિંહની નિમણૂક ડભોઇ વિધાનસભાના ઇન્ચાર્જ તરીકે નિમણુંક કરવામાં આવતા તેને ધ્યાનમાં રાખીને આ વખતે રાજીનામું આપી દીધું હોવાનું માનવામાં આવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement