આચાર્ય પક્ષને ઝટકો, ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણી નિયત સમયે જ થશે
- નિવૃત્ત જજની નિમણૂક કરી ચૂંટણી યોજવાની માગણી હાઇકોર્ટે ફગાવી
ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીને લઈને આચાર્ય પક્ષને હાઇકોર્ટે ઝટકો આપ્યો છે. હાઈકોર્ટના નિવૃત જજની નિમણૂક કરી ચૂટણી યોજવાની અરજી નામંજૂર કરવામાં આવી છે. ગોપીનાથજી ટેમ્પલ બોર્ડે 21 એપ્રિલે યોજાનાર ચૂંટણી માટે કાચી મતદાર યાદી જાહેર કરી હતી. જેને લઇને મતદાર યાદીમાં નામ કમી કરાયા હોવાના આક્ષેપો સાથે આચાર્ય પક્ષે હાઈકોર્ટમાં અરજી કરી હતી પરંતુ હાઈકોર્ટે અરજી ફગાવતા મંદિરની ચૂંટણી યથાવત સમયે યોજાશે. ચેરમેન દ્વારા એસ.પી.સ્વામી સહિત આચાર્ય પક્ષ મંદિરને બદનામ કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયના ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણી 21 એપ્રિલે જાહેર કરી કાચી મતદાર યાદી પ્રસિધ્ધ કરાતા, મતદાર યાદીમાં નામ કમી કરવા સહિતના આચાર્ય પક્ષે આક્ષેપો સાથે હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી. જે પીટીશન ગઈકાલે હાઈકોર્ટે રદ કરતા આચાર્ય પક્ષને મોટો ફટકો પડ્યો છે. એસપી સ્વામી સહિત આચાર્ય પક્ષના મંદિરને યેનકેન પ્રકારે બદનામ કરવાના પ્રયત્નો કરતા હોવાનું મંદિરના ચેરમેને જણાવ્યું હતું. ગોપીનાથજી મંદિરના ચેરમેન હરીજીવનદાસજી સ્વામીએ મીડીયાને માહિતી આપી હતી. તેમનું કહેવું છે કે હાઇકોર્ટે આચાર્ય પક્ષ દ્વારા કરાયેલ પીટીશન રદ કરી છે. ગોપીનાથજી મંદિરને એસ પી સ્વામી સહિત આચાર્ય પક્ષ બદનામ કરે છે. હવે ગઢડા ગોપીનાથજી મંદિરની ચૂટણી યથાવત સમયે યોજાશે.
બોટાદ જિલ્લાના ગઢડાના સ્વામિનારાયણ સંપ્રદાયના મહત્વના ગણાતા ગોપીનાથજી મંદિર ટેમ્પલ ટ્રસ્ટની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આગામી 21 એપ્રિલ 2024 ના રોજ યોજાનાર ચૂંટણીમાં 29 હજાર જેટલા મતદારો મતદાન કરશે. ટેમ્પલ ટ્રસ્ટની ચૂંટણી માટે કાચી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. મંદિર અને લક્ષ્મી વાડીમાં મતદાન મથકો રાખવામાં આવ્યા છે. ગૃહસ્થ વિભાગની 4, પાર્ષદ વિભાગની 1, સાધુ વિભાગની 1 અને બ્રહ્મચારી વિભાગની 1 મળી 7 બેઠકો માટે દર પાંચ વર્ષે ચૂંટણી યોજાતી હોય છે. ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે સીધી ચૂંટણી યોજાશે. મહત્વપૂર્ણ છે કે, છેલ્લા 5 વર્ષથી દેવ પક્ષ ટેમ્પલ ટ્રસ્ટની સત્તા ઉપર છે. જેને લઈને ટેમ્પલ ટ્રસ્ટ સાથે સંકળાયેલા હરિભક્તો અને સંતોમાં સળવળાટ જોવા મળ્યો છે.