બોળચોથના પૂજન સાથે જન્માષ્ટમીના તહેવારોનો પ્રારંભ
આવતીકાલે નાગપાંચમ, શનિવારે રાંધણછઠ, રવિવારે શીતળા સાતમ અને સોમવારે કૃષ્ણ જયંતી
ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દિવાયી બાદ સૌથી મોટા જન્માષ્ટમીના તહેવારોની આજે બોળચોથથી પ્રારંભ થયો છે અને આગામી તા.26 ઓગસ્ટે કૃષ્ણ જન્મોત્સવ સુધી આ તહેવારની ધુમ ચાલુ રહેશે.શ્રાવણ મહિનાની શરૂૂઆત થતા જ તહેવારોની હારમાળા શરુ થાય છે. દશામાના વ્રત અને રક્ષાબંધનનો તહેવાર પુરો થયો છે. હવે આજે બોળચોથથી જન્માષ્ટમીના તહેવારોની શૃંખલાનો પ્રારંભ થયો છે. સાતમ આઠમમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મિનિ વેકેશનનો માહોલ હોય છે. બોળચોથથી તહેવારની શરૂૂઆત થાય છે. ત્યાર પછી નાગપાંચમ, રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ અને જન્માષ્ટમીનો તહેવાર આવે છે. આ પછી નોમના પારણા સાથે તહેવારની પૂર્ણાહુતિ થાય છે.
આ વખતે બોળચોથ આજ રોજ ઉજવવામાં આવશે. તેને બહુલા ચોથ પણ કહેવામાં આવે છે. બોળચોથ 22 ઓગસ્ટના રોજ બપોરે 1.46 કલાકેથી શરુ થશે અને બીજા દિવસે 23 ઓગસ્ટના રોજ સવારે 10.38 કલાકે પૂર્ણ થશે. આ દિવસે ગાયની પૂજ કરવાનું મહત્વ છે. ગાયની પૂજા ઘણું ફળ મળે છે.
નાગપંચમી કે નાગપાંચમનો તહેવાર 23 ઓગસ્ટને શુક્રવારના રોજ મનાવવામાં આવશે. નાગપંચમીની શરૂૂઆત 23 ઓગસ્ટની સવારે 10.38 કલાકે થશે. જ્યારે 24 ઓગસ્ટના રોજ સવારે 7.51 કલાકે તેની પૂર્ણાહૂતિ થશે. આ દિવસે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે. નાગ દેવતાના મંદિરોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડે છે.
રાંધણ છઠ્ઠનો તહેવાર શનિવારને 24 ઓગસ્ટના રોજ મનાવવામાં આવશે. રાંધણ છઠ્ઠની શરૂૂઆત 24 ઓગસ્ટની સવારે 7.41 કલાકે થશે. જ્યારે 25 ઓગસ્ટના રોજ સવારે 5.30 કલાકે પૂર્ણ થશે. રાંધણ છઠ્ઠના દિવસે ઘરે ભોજન રાંધવાની પરંપરા છે. આ દિવસે જાતજાતની વાનગીઓ બનાવવામાં આવે છે.
શીતળા સાતમનો તહેવાર રવિવારને 25 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. શીતળા સાતમની શરૂૂઆત 25 ઓગસ્ટની સવારે 5.30 કલાકે થશે. જ્યારે 26 ઓગસ્ટના સવારે 3.39 કલાકે પુરી થશે. શીતળા સાતમના દિવસે ઠંડુ ભોજન ખાવાની પરંપરા છે, જેના કારણે તે દિવસે ઘરમાં ભોજન રાંધવામાં આવતું નથી. રાંધણા છઠ્ઠના દિવસે રાંધેલું ભોજન ખાવામાં આવે છે. આ દિવસે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે.
જન્માષ્ટમી એટલે ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ છે. જેને દેશભરમાં ધુમધામથી મનાવવામાં આવે છે. જન્માષ્ટમીનો તહેવાર 26 ઓગસ્ટને સોમવારનો રોજ મનાવવામાં આવશે. આ વખતે આઠમ 26 ઓગસ્ટના રોજ સવારે 03:39 વાગ્યે શરૂૂ થશે અને 27 ઓગસ્ટના રોજ સવારે 02:19 વાગ્યે સમાપ્ત થશે. 26 ઓગસ્ટની મધ્યરાત્રિએ મથુરામાં શ્રી કૃષ્ણની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે.