જામનગર વકીલ મંડળે બાઈક રેલી યોજી કલેક્ટરને આપ્યું આવેદન
રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ પ્રોટેક્શન એક્ટની માંગ
જામનગરના એડવોકેટ પલેજાની ગયા બુધવારે કરાયેલી હત્યા પછી જામનગર વકીલ મંડળ દ્વારા રોષ વ્યક્ત કરાઈ રહ્યો છે. આજે બાઈક રેલીના સ્વરૂૂપે જઈ કલેકટર કચેરીએ વકીલ મિત્રોએ આવેદન રજૂ કર્યું છે. રાજસ્થાનના વકીલો માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરી દેવાયો છે ત્યારે ગુજરાતમાં તે કાયદો કેમ અમલમાં નથી લાવવામાં આવતો તેમ જામ નગર વકીલ મંડળે પૂછ્યું છે. જામનગરના બેડી વિસ્તારમાં એડવોકેટ હારૂૂનભાઈ પલેજાની કુખ્યાત સાયચા ગેંગના પંદર શખ્સે નિપજાવેલી કરપીણ હત્યાના ઘેરા પડઘા પડ્યા છે. આરોપીઓને તાત્કાલિક પકડી પાડવાની માગણી સાથે જામનગર વકીલ મંડળે ઉગ્ર પ્રત્યાઘાત વ્યક્ત કર્યો છે અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની પ્રબળ માગણી કરી છે. આ માગણી અન્વયે આજે જામનગર વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ સુવાના અધ્યક્ષસ્થાને બાઈક રેલી યોજવામાં આવી હતી. આજે બપોરે તમામ વકીલ મિત્રો કોર્ટ પાસે એકત્રીત થયા પછી બાઈકમાં સરૂૂ સેક્શન રોડ સ્થિત કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા. જેમાં સંખ્યાબંધ વકીલ મિત્રો જોડાયા હતા. ગયા વર્ષે રાજસ્થાનની સરકારે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કર્યો છે ત્યારે ગુજરાતના વકીલોને આ કાયદાનું સંરક્ષણ કેમ આપવામાં આવી રહ્યું નથી? તેવો સવાલ જામનગર વકીલ મંડળે રજૂ કર્યો છે.