જામનગરના એડવોકેટની હત્યાના પડઘા ખંભાળિયામાં: વકીલો કામગીરીથી અળગા રહ્યા
જામનગરના સિનિયર એડવોકેટ હારુન પાલેજાની બે દિવસ પૂર્વે જામનગરમાં જાહેરમાં થયેલી ક્રૂરતાપૂર્વક હત્યાના ઘેરા પ્રત્યાઘાતો ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પડ્યા છે. જેને અનુલક્ષીને અહીંના વકીલોએ આજરોજ તેમની કામગીરીથી અલિપ્ત રહીને સરકાર સમક્ષ આના અનુસંધાને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.દેવભૂમિ દ્વારકા ડીસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ સંજયભાઈ જોશીના વડપણ હેઠળ આજરોજ ખંભાળિયા સહિત જિલ્લામાં વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા તમામ એડવોકેટ દ્વારા તેમની કામગીરીથી અલિપ્ત રહી, અને જામનગરના એડવોકેટની હત્યાના બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો.
આટલું જ નહીં, સદગતની આત્માને શાંતિ મળે તે માટે બે મિનિટનું મૌન પાડી, અહીંના વકીલો પોતાની નૈતિક જવાબદારી સમજીને આરોપીના વકીલ તરીકે જિલ્લાનો એક પણ એડવોકેટ રોકાશે નહીં તેવી જાહેરાત કરી હતી.આ ઉપરાંત સરકાર દ્વારા આ પ્રકારના ચિંતાજનક બનાવ પુનઃ ન બને તે માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ તાત્કાલિક અસરથી અમલમાં લાવવા તથા જે કોઈ વકીલ સ્વખર્ચે હથિયાર ધારણ કરવા માંગતા હોય તેમને લાઇસન્સ પૂરું પાડવાની માંગ પણ કરવામાં આવી છે.