જામખંભાળિયા નગરપાલિકામાં ચાર ગ્રામ પંચાયતના વિસ્તારોનો સમાવેશ
રાજ્ય સરકાર દ્વારા વિધિવત નોટિફિકેશન બહાર પડાયું, શહેરનો વિસ્તાર અંદાજિત 12 ચોરસ કિલોમીટરનો થશે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની નગરપાલિકાને તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા એ કેટેગરીમાં સમાવેશ કરાયા બાદ ગઈકાલે સોમવારે સરકારે વધુ એક નોટિફિકેશન બહાર પાડી અને શહેરને સંલગ્ન નજીકની ચાર ગ્રામ પંચાયતોનો કેટલોક વિસ્તાર શહેરમાં સમાવિષ્ટ કરવા જાહેર કરાયું છે.
ખંભાળિયા શહેર નજીકના વિસ્તારોમાં કેટલાક ઔદ્યોગિક એકમો તેમજ વ્યવસાયિક ક્ષેત્રો સાથે વસ્તી અને વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે વર્ષ 2013 માં જામનગરથી અલગ બનેલા દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે મુખ્ય મથક તરીકે ખંભાળિયા શહેરને જાહેર કરવામાં આવ્યું છે. અહીં તમામ જિલ્લા કક્ષાની વડી કચેરીઓ આવેલી છે. આ વચ્ચે છેલ્લા ઘણા સમયથી શહેરના નગરજનોની માંગણી રહી હતી કે સી-વર્ગની ખંભાળિયા નગરપાલિકાનો દરજ્જો એ- વર્ગનો કરી અને શહેરની બગલમાં આવેલી ગ્રામ પંચાયતોનો જરૂૂરી વિસ્તાર પાલિકામાં સમાવેશ કરવામાં આવે. મહત્વની બાબતો એ છે કે ખંભાળિયા શહેરને અડીને આવેલી શક્તિનગર, રામનગર, ધરમપુર અને હર્ષદપુર ગ્રામ પંચાયતને નગરપાલિકા દ્વારા કેટલીક જરૂૂરી પાયાની સુવિધાઓ પણ આપવામાં આવે છે અને આ જ વિસ્તાર જાણે શહેરમાં હોય તેમ જગ્યાના ભાવ તેમજ અન્ય બાબતો પ્રવર્તમાન બની રહી હતી.
સુજ્ઞ નગરજનોની માંગણીને ગ્રાહ્ય રાખી અને થોડા સમય પૂર્વે સ્થાનિક હોદ્દેદારો, નગરપાલિકાના સત્તાવાહકો તેમજ ઉપરોક્ત ચાર ગ્રામ પંચાયત શક્તિનગર, રામનગર, ધરમપુર અને હર્ષદપુરના સરપંચ વિગેરે સાથે થયેલી મીટીંગો તેમજ આ અંગે અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને સાંસદ પૂનમબેન માડમ દ્વારા સંબંધિત તંત્રને રજૂઆતો કરાતા નગરપાલિકાને અ-વર્ગમાં સમાવિષ્ટ કરાયા કરાઈ હતી. આ વિસ્તારો શહેરમાં સમાવિષ્ટ થયા બાદ આશરે સાડા ત્રણ ચોરસ કિલોમીટરનો ખંભાળિયા નગરપાલિકાનો વિસ્તાર વધીને 10 થી 12 ચોરસ કિલોમીટરનો થઈ જશે. નવા ભળેલા આ વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા રોડ-રસ્તા, પાણી અને સ્ટ્રીટ લાઈટ સહિતની જરૂૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. અ વર્ગની બનેલી ખંભાળિયા નગરપાલિકાની ગ્રાન્ટ હવે રૂૂપિયા 4 કરોડના બદલે અંદાજિત રૂૂપિયા 12 કરોડ સુધી પહોંચી જશે.