રામનાથ મંદિર ગેટનું કલરકામ કોંગ્રેસે અટકાવતા જયમીન ઠાકર ધુંઆપુંઆ
વર્ષો પહેલા લોકોએ બનાવેલ ગેટનું કલરકામ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે પ્રવિણ રાઠોડે કામ બંધ કરાવતા અધિકારીઓ ચેરમેન પાસે દોડી ગયા
મહાનગરપાલિકામાં શાસન હાલ ભાજપનું છે. કોંગ્રેસના ફક્ત ચાર કોર્પોરેટર હોવાના કારણે વિરોધ પક્ષનું પદ પણ મળ્યું નથી. છતાં અનેક કામોમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરંતુ ધાર્મિક કામોમાં કે જેમાં લોકોની લાગણીઓ સમાયેલી હોય તેવા કામોમાં પણ કોંગ્રેસે વિરોધ ચાલુ કરી પોતાની બુદ્ધીનું વરવું પ્રદર્શન કર્યુ હોય તેમ આજે સેંકડો લોકોની આસ્થાનું કેન્દ્ર રામનાથ મહાદેવ મંદિરના ગેઈટનું કલર કામ અટકાવતા અધિકારીઓએ આબાબતની જાણ સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરને કરતા તેમણે પ્રથમ અધિકારીઓને ખખડાવી કામ કોઈપણ સંજોગે તુરંત ચાલુ કરવાના આદેશ કર્યા હતાં.
શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ શિવાલયોએ અવનવા શણગાર સર્જયા છે. ત્યારે શહેરના તમામ લોકોના આસ્થાનું કેન્દ્ર ગણાતા રામનાથ મહાદેવ મંદિરને પણ રોષનીથી શણગારવામાં આવ્યું છે. આ મંદિર વર્ષો પહેલા બનાવવામાં આવેલ તે સમયે લોકોએ ફાળો એકટો કરી મંદિરની આગળ કલાત્મક ગેઈટ બનાવ્યો હતો. જે સમય જતાં જર્જરીત થઈ ગયો હોય આ ગેઈટને કલરકામ કરવો પડે તેમ મેયરના લોકદરબારમાં લોકોએ ફરિયાદ કરી હતી. જેના કારણે સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે અંગત રસ લઈ મંદિરના ગેઈટનુંકલરકામ શરૂ કરાવ્યું હતું. ગઈકાલથી ગેઈટનું કલરકામ કારીગરોએ ચાલુ કરેલ 30% ગેઈટનો કલર થઈ ગયાબાદ પૂર્વ કોંગી કોર્પોરેટર પ્રવિણ રાઠોડે સ્થળ પર આવી કામ અટકાવી જણાવેલ કે, આ ગેઈટ અમે બનાવેલ છે.
આથી અધિકારીઓએ આ બાબતની જાણ સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકરને કરી હતી. જેની સામે પ્રવિણ રાઠોડે પણ આ બાબતે જયમીન ઠાકર સાથે ચડભડ કરી હોવાનું જાણવા મળેલ છે. આજે બપોરે સ્ટેન્ડીંગ ચેરમેને ગેઈટનું કલર કામ સંભાળતા સીટી ઈજનેર અને ડેપ્યુટી ઈજનેરને તેમની ચેમ્બરમાં બોલાવી આ કામ કેમ બંધ કરાવ્યું તેમ કહી અધિકારીઓ ઉપર ધુંઆફુઆ થઈ ગયા હતાં અને પોલીસ બંદોબસ્ત લેવો પડે તો લઈને પણ ગેઈટનું કલર કામ ચાલુ કરાવવાના આદેશ કર્યા હતાં. રામનાથ મહાદેવ મદિરના ગેઈટનું કલર કામ કોંગી કોર્પોરેટરે અટકાવતા તરેહ તરેહની ચર્ચાએ જોર પકડ્યલું હતું. અમુક લોકોએ જણાવેલ કે, ગેઈટ કેશરી કલરનો કરવામાં આવી રહ્યો છે. આથી ભાજપનો કલર છે તેમ સમજી આ કામ અટકાવવામાં આવ્યું છે.
જ્યારે અમુક લોકોએ આ ગેઈટ કોઈની માલીકીનો હોવાથી તેઓએ કામ અટકાવ્યું છે. તેમ જણાવ્યું હતું. છતાં આ જગ્યા મહાનગરપાલિકાની માાલીકીની હોવાના કારણે વર્ષો પહેલા લોકોના ફંડ ફાળાથી અથવા કોઈ પરિવાર દ્વારા આ ગેઈટ બનાવવામાં આવ્યો હોય તો તેની જાળવણીની જવાબદારી કોર્પોરેશનની રહેતી હોય છે. હાલ શ્રાવણ મહિનો ચાલુ હોય મંદિરને શણગારવામાં આવ્યું છે. ત્યારે પ્રવેશ ગેઈટની હાલત ખરાબ હોય શ્રધ્ધાળુઓની ભાવના સાથે ખિલવાર થાય તેવું લાગી રહ્યું હોય કોર્પોરેશને ગેઈટનું કલરકામ ચાલુ કરાવ્યું છે. જે કંઈ ખોટુ નથી. તેમ પણ અમુક લોકોએ જણાવ્યું હતું.