માયાણી ચોકમાં જય પીપરાવારી હોટલ સીલ
રાજકોટ શહેર સ્વચ્છ બનાવવા માટે પર્યાવરણ વિભાગ દ્વારા અનેક પ્રકારની કાર્યવાહી તેમજ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને ચા અને પાનની દુકાનો આગળ થતી ગંદકી ઉપર ખાસ વોચ રાખી કડક કામગીરી શરૂકરાઈ છે. જેમાં આજે વેસ્ટઝોનમાં આવેલ માયાણી ચોકમાં જય પીપરાવારી હોટલ એન્ડ કોલ્ડ્રીંક્સને અનેક વખત નોટીસો આપવા છતાં ગંદકી કરવા સબબ આજે હોટલ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
રાજકોટ શહેરમાં માયાણી ચોક પાસે, જય પીપરાવારી કોલ્ડડ્રિંક ફળા; હોટલ દ્વારા જાહેરમાં સ્વચ્છતા જાળવતા ન હોવાથી અને ગંદકી સબબ ન્યુસંન્સ ફેલાવતા હોવાથી જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવામાં આવતો હોય, આ બાબતે નોટીસ આપી, વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવેલ. આ ઉપરાંત આ શોપના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવાર-નવાર સુચના આપવામાં આવેલ. તેમ છતાં જાહેર સ્વચ્છતા ન જળવતા તા.16/02/2024ના રોજ સ્થળ તપાસ કરતાં શોપની આસપાસ ખુબજ ગંદકી તેમજ કચરો જોવા મળેલ હતો. જેથી તા.16/02/2024 ના રોજ સાંજે જય પીપરાવારી કોલ્ડડ્રિંક એન્ડ હોટલ સંચાલકોને નોટીસ આપીને ધી જી. પી. એમ. સી. એક્ટ 1949ની કલમ 376 એ હેઠળ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ. હાલ સરકારની સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત શહેરને તેમજ શહેરની બહારના વિસ્તારો, શહેરને જોડતા હાઇ- વે વિગેરેને સ્વચ્છ કરવા માટે સઘન કાર્યવાહી કરવામાં આવી રહેલ હોય, જાહેરમાં ગંદકી ફેલાવતાં આસામીઓ તેમજ ધંધાર્થીઓને નોટીસ આપી વહીવટી ચાર્જ વસુલવા તેમજ તેમાં સુધારો ન જણાતા આવા આસામીઓ/ધંધાર્થીઓ સામે તેની દુકાન / ધંધાનું એકમ સીલ કરવા સુધીના આકરા પગલાં લેવામાં આવશે. જે બાબતે નોંધ લેવા જાહેર જનતાને સુચિત કરવામાં આવે છે.