For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યુનેસ્કોની અમૂર્ત ધરોહર યાદીમાં દીપાવલીના સમાવેશને પગલે રાજ્યભરમાં ઇન્ટેન્જિબલ દીપાવલી ઉજવણી

11:53 AM Dec 11, 2025 IST | Bhumika
યુનેસ્કોની અમૂર્ત ધરોહર યાદીમાં દીપાવલીના સમાવેશને પગલે રાજ્યભરમાં ઇન્ટેન્જિબલ દીપાવલી ઉજવણી

33 જિલ્લાઓમાં જિલ્લાના વિવિધ ઐતિહાસિક સ્મારકો સાંસ્કૃતિક કાર્યક્રમ, દીપોત્સવ, રંગોળી અને રોશનીથી ઝળહળ્યા

Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાધીશ મંદિર ખાતે દીપ પ્રજ્વલન, રોશની સજાવટ અને રંગોળી કાર્યક્રમોનું આયોજન કરાયું

ભારતીય સંસ્કૃતિના સૌથી મોટા અને ભવ્ય પર્વ, ’દિવાળી’ને યુનેસ્કો દ્વારા તેની ’અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ (Intangible Cultural Heritage - ICH)ની પ્રતિષ્ઠિત સૂચિમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું હતું. આ નિર્ણય માત્ર ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે આનંદ અને ગૌરવનો વિષય બન્યો હતો. આ ઐતિહાસિક સિદ્ધિએ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને તેની ઉજવણીની વૈશ્વિક સ્વીકૃતિને દર્શાવી હતી.

Advertisement

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે હંમેશા ભારતના સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક ઓળખ અપાવવા માટે સાર્થક અને સતત પ્રયાસો કર્યા છે. આ પ્રયાસોના ફળસ્વરૂૂપ જ આજે વિશ્વફલક પર આપણી પરંપરા, સંસ્કૃતિ અને ઉત્સવપ્રિયતા સમગ્ર વિશ્વમંચ પર પ્રભાવક રીતે પ્રગટ થઈ છે.

દિવાળીના અપેક્ષિત સમાવેશની સંભાવનાને ધ્યાનમાં રાખીને, અને યુનેસ્કો દ્વારા સત્તાવાર જાહેરાત બાદ, ગુજરાત રાજ્યના સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય દ્વારા રાજ્યભરમાં એક વિશેષ દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીનો હેતુ વિશ્વ સમક્ષ ભારતની સાંસ્કૃતિક ઓળખને મજબૂત રીતે રજૂ કરવાનો તેમજ આ ગૌરવશાળી ક્ષણને સમગ્ર રાજ્યમાં ઉત્સાહપૂર્વક આવકારવાનો હતો.

આ મહત્વપૂર્ણ ઉપલબ્ધિના અનુસંધાને, સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય, ભારત સરકારની સૂચના અનુસાર, તા. 10 ડિસેમ્બર, 2025ના રોજ રાજ્યના મહત્વના ઐતિહાસિક સ્મારકો તથા સાંસ્કૃતિક સ્થળોએ વિશેષ દીપ પ્રજ્વલન, રોશની સજાવટ અને રંગોળી કાર્યક્રમોનું આયોજન થયું હતું.

સમગ્ર ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્ર અને સાંસ્કૃતિક વિભાગના સહયોગથી વિવિધ ઐતિહાસિક સ્મારકો અને સાંસ્કૃતિક સ્થળોએ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યના મહત્વના ઐતિહાસિક સ્મારકો અને સાંસ્કૃતિક સ્થળોની સાથે સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાધીશ મંદિર ખાતે દીવા પ્રગટાવીને તથા આકર્ષક રોશનીનું થીમ રંગીન આયોજન કરીને દિવ્ય વાતાવરણ સર્જવામાં આવ્યું હતું. ભારતીય પરંપરા અને સંસ્કૃતિને પ્રદર્શિત કરતા વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો, નૃત્યો અને સંગીતની પ્રસ્તુતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.સંસ્કૃતિની સુંદરતા દર્શાવતી રંગોળી પ્રદર્શિત કરવામાં આવી હતી. આ રોશનીએ ભારતીય સંસ્કૃતિના ’પ્રકાશ પર્વ’ના સંદેશને વિશ્વભરમાં ફેલાવ્યો હતો.
દિવાળીનો યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સૂચિમાં સમાવેશ એ માત્ર એક સિદ્ધિ નહોતી, પરંતુ ભારતીય સંસ્કૃતિની વૈશ્વિક સ્વીકૃતિની મહોર હતી. આ નિર્ણય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિ અને ભારતની સાંસ્કૃતિક વિરાસતને સંરક્ષિત અને પ્રોત્સાહિત કરવાના સતત પ્રયાસોનું પરિણામ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement