કિશાન પેટ્રોલ પંપ પાસે નર્મદાની લાઈનમાંથી બેફામ પાણી ચોરી
સરદાર હાઈટ્સના રહેવાસીઓએ પાણી ચોરી બંધ કરાવી નળજોડાણ આપવા મેયરને રજૂઆત કરી
ઉનાળાની શરૂઆત થતાં જ શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીનો દેકારો શરૂ થઈ ગયો છે. જેમાં ખાસ કરીને શહેરની બારોબાર છેવાડામાં આવેલ સોસાયટીઓ તેમજ વિસ્તારોમાં ત્યાં ટેન્કરો દ્વારા પાણી વિતરણ થાય છે.
તેવી જ રીતે અમુક સોસાયટીઓમાં પાણીની લાઈનો નાખવામાં આવી હોય ત્યાં ઓછા ફોર્સથી પાણી આવવા સહિતની ફરિયાદો વધવા લાગી છે. જેમાં આજે પણ ગોંડલ રોડ પર આવેલ કિશાન પેટ્રોલપંપ સામે આવેલ સરદાર હાઈટ્સના 80થી વધુ પરિવારોએ આજુબાજુના રહીસો દ્વારા અહીંયાથી પસાર થતી નર્મદાની લાઈનમાંથી પાણી ચોરી કરાતી હોવાનું અને અમારા એપાર્ટમેન્ટમાં નળ કનેક્શન આપવા સહિતના મુદ્દે મેયર નયનાબેન પેઢડિયાને રજૂઆત કરી હતી.
ગોંડલ રોડ ઉપર કિશાન પેટ્રોલપંપની સામે આવેલ સરદાર હાઈટ્સમાં 80થી વધુ પરિવારોએ આજે કોર્પોરેશનની સેન્ટ્રલઝોન કચેરી ખાતે આવી મેયર નયનાબેન પેઢડિયાને રજૂઆત કરી જણાવેલ કે, અમારા એપાર્ટમેન્ટમાં નળ કનેક્શન આપવામાં આવેલ નથી તેમજ ગ્રામ પંચાયત દ્વારા પણ પીવાના પાણીની વ્યવસ્થા આજ સુધી કરાઈ નથી. જેની સામે સરદાર હાઈટ્સની બાજુમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય પાણીની પાઈપલાઈનમાં ભંગાણ કરી અનેક આસામીઓ દ્વારા પાણીચોરી કરવામાં આવી રહી છે. જેના લીધે બાફામ પાણીનો બગાડ થઈ રહ્યો છે. જે તંત્રને આજ સુધી દેખાયું નથી.
જેની સામે બાજુમાં આવેલ સરદાર હાઈટ્સ સહિતના એપાર્ટમેન્ટમાં લોકો પીવાના પામી વગર તરસી રહ્યા છે. આથી અમને નિયમ મુજબ પાણીની લાઈન નાખી નળ જોડાણ નળ જોડાણ આપવામાં આવે સરદાર હાઈટ્સમાં અત્યારે 80 પરિવાર રહે છે. હાલ એ.બી.સી.ડી. કુલ ચાર વીંગ છે. જેમાં એ તથા બી વીંગમાં મોટાભાગે ભાડુઆતો રહે છે. તેઓ કોર્પોરેશનની ગેટ પાસેથી પસાર થતી ભાદરની પાઈપલાઈનમાંથી રાત્રી દરમિયાન પાણીચોરી કરી ભરી લેતા હોય છે. ત્યારે સી અને ડી વીંગમાં ચોરેલું પાણી આપતા નથી. અને પાણી માટે અમે દરરોજ પૈસા ખર્ચીને ટેન્કર નખાવીએ છીએ આથી અમારી વિનંતી છે કે, ગેરકાયદેસર થતી પાણી ચોરી બંધ કરાવી નિયમ અનુસાર પાણીનું કનેક્શન આપવામાં આવે જેના માટેની ફી ભરવા અમે તૈયાર છીએ તેમ જણાવ્યું હતું.
અનેક વિસ્તારોમાં ટેન્કરોમાં પણ ગોલમાલ
રાજકોટ શહેરના છેવાડાના અનેક વિસ્તારોમાં આજે પણ પીવાનું પાણી ઉપલબ્ધ થતું નથી મહાનગરપાલિકા દ્વારા નવા વિસ્તારોમાં પાણીની લાઈનો નાખવાની કામગીરી પુરઝડપે શરૂ કરવામાં આવી છે. પરંતુ નળ કનેક્શન આવે તે પહેલા પાણી આપવા માટે ટેન્કરના ફેરા કરવામાં આવી રહ્યા છે. જેમાં પણ ગોલમાલ થતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. અમુક ટેન્કરના ફેરા રદ કરી દેવાય છે. જ્યારે લાગવગિયા અને રાજકીય ઓથ ધરાવતા લોકોને ટેન્કરમાંથી વધુ પાણી મળતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. જે ઉનાળા દરમિયાન વધવાની સંભાવના પણ જોવાઈ રહી છે. આથી મનપાના વોટરવર્કસ વિભાગ દ્વારા ટેન્કર આધારીત વિસ્તારોમાં સરપ્રાાઈઝ ચેકીંગ લોકોની ફરિયાદનો નિકાલ કરવો જોઈએ તેમજ ટેન્કરમાં ચાલતી ગોલમાલને પણ ખુલ્લી પાડવી જોઈએ તેવુ લોકો ઈચ્છી રહ્યા છે.