માલધારી ચારણ ગઢવી સમાજને ગુજરાત ગોપાલક વિકાસ નિગમમાં સમાવેશ કરો
પ્રતિષ્ઠિત કાગ એવોર્ડ વિજેતા સૌરાષ્ટ્ર કચ્છ કાઠીયાવાડ અને દેશ વિદેશમાં લોક ડાયરાની દુનિયામાં ખૂબ જ મોટું નામ ધરાવતા ઉપલેટાના જાણીતા લોકસાહિત્યકાર દેવરાજભાઈ ગઢવીએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલને એક વિસ્તૃત પત્ર પાઠવી ચારણ ગઢવી સમાજનો ગુજરાત ગોપાલક વિકાસ નિગમમાં સમાવેશ કરવાની માગણી કરતા જણાવેલ છે કે ચારણ ગઢવી સમાજ વર્ષોથી પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલો છે એની ઓળખ જ માલધારી તરીકે થાય છે ત્યારે આ સમાજને આનાથી વંચિત કેમ રાખી શકાય નેહડા ચારણોના જ હતા અને આજે પણ છે.
છતાં દુ:ખ સાથે કહેવું પડે છે કે અમારી વારંવારની આ વેદના સંવેદનશીલ સરકાર હોવા છતાં પણ સાંભળતી નથી. આજે પણ ગીર, બરડો, આલેય, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ સહિતના પ્રદેશોમાં ચારણ ગઢવી સમાજ પશુપાલન વ્યવસાય કરી પોતાના જીવન નિર્વાહ કરે છે. એ જ એનો વ્યવસાય છે ત્યારે મારી એક લોક સાહિત્યકાર તરીકે પ્રાર્થના છે કે છીનવાઈ ગયેલો અમારો હક્ક પરત મળે અને એના લાભ અને આર્થિક સહયોગ થી ચારણ ગઢવી પશુપાલકો આજના હરીફાઈના યુગમાં ટકી શકે અને તેમના પરિવાર તથા જીવથી વાલા પશુઓનું પણ સારી રીતે નિભાવ અને પોષણ કરી શકે અને આ રાજ્યભરના માલધારી ચારણ ગઢવી સમાજની વેદના અને માંગણી છે ત્યારે વહેલામાં વહેલી તકે તેમનો ગુજરાત ગૌ પાલક વિકાસ નિગમમાં સમાવેશ કરવો જોઈએ તેવી અંતમાં માગણી કરેલ છે.