મંછાનગર કૌભાંડમાં 8 શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાશે
- નોટિફાઈવ સ્લમ વિસ્તારમાં 2010માં 135 મકાનોનો સરવે કરવામાં આવેલ: આખું મફતિયું નહીં પડે ફક્ત ભાડેથી આપેલા મકાનોનું ડિમોલિશન કરાશે
પૂર્વઝોનમાં બહુ ગાજેલા મંછાનગર મફતિયાપરા કૌભાંડમાં મહાનગરપાલિકાના સર્વેરિપોર્ટમાં ચોંકાવનારા તારણો બહાર આવ્યા છે. જે મુજબ આ વિસ્તારમાં 1004 રહેણાક મકાનો આવેલા છે. પરંતુ 30થી વધુ મકાનો ભાડેથી આપેલા હોવાનું અને આ મકાન માલીક વધુ મકાન ધરાવતા હોવાનું બહાર આવ્યું છે. જેથી આજે ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા ફરી એક વખત કાઉન્ટીંગ કરી ભાડે દીધેલા મકાનના માલીકો વિરુદ્ધ લેન્ડગ્રેબીંગની ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું.
મંછા નગર મફતિયાપરાના સર્વે રિપોર્ટ અંગે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવેલ કે, રાજકોટમાં જૂના માર્કેટયાર્ડ પાછળ કબીર ટેકરી આસપાસના વિસ્તારમાં ઉભા થયેલા મંછાનગરમાં ગેરકાયદે આવાસો અને કોર્પોરેટર દ્વારા કરાયેલા દબાણોની ફરિયાદો બાદ મહાપાલિકા દ્વારા તપાસ કરાવાતા કુલ 1004 નાના મોટા મકાનો અને 39 બિન રહેણાંક બાંધકામો હોવાનું બહાર આવ્યું હતું. આ આવાસોમાં રહેનારા પૈકી 30 મકાનોના માલીક વધુ મકાન ધરાવતા હોવાનું અને 30 આવાસ ભાડેથી આપવામાં આવેલા હોવાનો રિપોર્ટ થયોછે. કોઈ અકળ કારણસર બે મહિલા કોર્પોરેટરના પતિના નામો કે તેમના પરિવારના કોઈ લોકોના નામો નિવેદનમાં સામે આવ્યા નથી પરંતુ તેમના સગાસબંધીઓના નામે હોવાનું અને આ મકાનો રૂપિયા 500થી 2000 રૂપિયામાં ભાડેથી આપેલા હોવાનું રિપોર્ટમાં સામે આવતા હવે આ મકાન માલીકો વિરુદ્ધ લેન્ડગ્રેબીંગ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવશે ત્યાર બાદ આ 30 મકાનોનું ડિમોલીશન કરાશે.
સર્વેમાં મનપા દ્વારા આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, બાળકોના જન્મના પ્રમાણપત્ર, સ્કૂલ લિવિંગ સાથે વિજળીના બિલને પણ મહત્વનો પૂરાવો ગણવામાં આવ્યો હતો.શ્રમિકો આ વિસ્તારમાં રહેતા હોય તેમની પાસે સૌથી જૂના પૂરાવા તરીકે લાઈટ બિલ જ મળ્યા હતા. મનપા દ્વારા સાત ટીમો ઉતારીને સર્વે કરવામાં આવ્યો હતો અને આખા વિસ્તારમાં એકે એક ઘરની તપાસ કરી પુરાવા પણ જોવાયા હતા. આ વિસ્તારમાં રહેનારા પાસે 10 વર્ષથી માંડીને 40 વર્ષ સુધીના પુરાવા પણ મળ્યાનો દાવો કરાયો હતો. મનપાના સૂત્રોએ કહયું હતું કે, જેમની માલિકીના એક કરતા વધારે મકાન(ઓરડીઓ) છે તેમના મકાનો તોડી પાડવા માટે આચારસંહિતા બાદ કાર્યવાહી હાથ ધરાશે.ભાડુઆતો રહે છે તેવા મકાનો પણ આવાસની જરૂૂર નથી તેવા લોકોના હોવાથી તેમને પણ તોડી પાડવામાં આવશે અને તેમને વિકલ્પો પણ નહિ આપવામાં આવે. અમે જે સર્વે કર્યો છે તેના આધારે જેમણે મનપાની અને સરકારની જમીનો દબાવીને ગેરકાયદે આવાસો ખડકી ભાડાની આવક ઉભી કરી છે તેની સામે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ કાર્યવાહી કરવા પણ કલેક્ટરને રિપોર્ટ કરવામાં આવનાર છે.
ડિમોલિશન બાદ પ્લોટ કોર્પોરેશન જપ્ત કરશે
મંછાનગરમાં એક માલીક પાસે મકાન હોવા છતાં અનેક મકાનો બનાવી ભાડેથી આપી દીધાનું સર્વેના રિપોર્ટમાં ખુલતા હવે મહાનગરપાલિકા આ પ્રકારના મકાન ધરાવતા 8 શખ્સો વિરુદ્ધ લેન્ડગ્રેબીંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાની તૈયારી કરી રહ્યું છે. ત્યારે 30થી વધુ ભાડેથી આપેલા મકાનોનું આચારસહિતા બાદ ડિમોલીશન કરવામાં આવશે. અને ડિમોલીશન થયા બાદ ખાલી થયેલ જગ્યાનો કબ્જો મહાનગરપાલિકા હસ્તક રહેશે આ જગ્યા ઉપર કોઈને બાંધકામ કરવાદેવામાં નહીં આવે.