જૂનાગઢમાં ગાયોના મોત મામલે અધિકારીએ જન્મ-મૃત્યુની ફિલોસોફી કરતાં દેકારો
વિપક્ષના સવાલનો વેટરનિટી ડોકટરે આપેલા જવાબથી જનરલ બોર્ડમાં ધમાચકડી મચી : દામોદરકુંડ, વોંકળા, ઢોર, ડમ્પિંગ સ્ટેશન, મહાશિવરાત્રી મેળા સહિતના મુદ્દે શાસકોને ઘેરાયા
જૂનાગઢ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં શહેરના વિકાસ, વહીવટી મામલાઓ, કામગીરીના અભાવ અને જનહિતના મુદ્દાઓ પર તીખી ચર્ચાઓ થયેલી. વિકાસના દાવાઓ વચ્ચે અનેક જૂના પ્રશ્નો હજુ સુધી ઉકેલ ન થયા હોવાના મુદ્દે વિપક્ષે શાસક પક્ષ અને પ્રશાસનને ઘેરી લીધા હતા. બેઠકમાં વર્ષ 2025-26 માટેના રોડ મેપથી લઈ દામોદર કુંડ, વોંકળા, રખડતા ઢોર, ડમ્પીંગ સ્ટેશન, નળ કનેકશન, મહાશિવરાત્રી મેળો સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. વિપક્ષના સભ્યોએ પ્રશ્ન ઉઠાવ્યો કે, શેરી પર રખડતાં ઢોર, ગૌવંશ માટે મનપાની વ્યવસ્થા કેટલીક જગ્યાએ નિષ્ફળ ઠરે છે. ઘાસચારો પૂરતો નથી, રખડતાં ઢોર માટે પકડ અને સંભાળ નીતિ અસફળ રહી છે, અને ગૌવંશ ગૌશાળામાં જ મૃત્યુ પામે છે.
વિપક્ષ નેતા લલિત પરસાણાએ બોર્ડમાં પ્રશ્ન કર્યો ત્યારે મહાનગરપાલિકાના વેટેનરી વિભાગના ડોક્ટર દ્વારા જવાબ આપતા કહેવામાં આવ્યું કે, જે જન્મ્યું છે તેનું મરણ છે, કોઈ અમર થઈને નથી આવતું. આ નિવેદનને કારણે વિવાદ વકર્યો, વિપક્ષના નેતા લલિત પરસાણાએ આ નિવેદનને તીવ્ર દુ:ખદ અને અપમાનજનક ગણાવ્યો હતો.તેમણે જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આવી ગૌમાતા માટે જયારે મહાનગરપાલિકા દ્વારા આવા કઠોર શબ્દોનો પ્રયોગ થાય છે, ત્યારે તે સમાજમાં દુ:ખ અને રોષ ઉભો કરે છે. તે પણ અધિકારીઓ શાસક પક્ષના આશીર્વાદથી ચાલે છે તેથી તેમને કોઈ લગામ જ નથી રહી. આ ટિપ્પણીને અનેક સભ્યોએ નિષ્ઠુર, સંવેદનહીન અને ગૌવંશ પ્રત્યે અપમાનજનક ગણાવી. મેયરે તાત્કાલિક મનપાના વેટેનરી ડોક્ટરને કહી દીધું કે આપનો જવાબ યોગ્ય નથી, વિપક્ષે પણ આ બાબતને ગંભીરતાથી ઉઠાવી અને જણાવ્યું કે આ શબ્દો મનપાની વહીવટી સંસ્કૃતિ અને ગૌસેવાના દાવાઓના પોખળપણાનું પ્રતિબિંબ છે.
જૂનાગઢ શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનની જનરલ બોર્ડ બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ગરમાગરમ ચર્ચાઓ થઈ. ખાસ કરીને જૂના બોર્ડના અણસલેલા પ્રશ્નો, વરસાદથી અટવાયેલા રોડ કામો, દામોદર કુંડનું દુષિત પાણી, વોંકળા દબાણ અને ગ્રાન્ટ સ્વીકારવાની રીતોમાં પારદર્શિતાની ઉણપે વિપક્ષે ગંભીર આક્ષેપ કર્યા. બોર્ડના સભ્ય રાવણ પરમારએ અગાઉ રજૂ થયેલા પ્રશ્નો હજી સુધીનો ઉકેલ ન થતા નારાજગી વ્યક્ત કરી હતી. મેયરે જવાબ આપ્યો કે વરસાદ પછી નવા રોડનું કામ શરૂૂ થશે. ડેપ્યુટી મેયરે પણ ચોમાસાને કારણે કામોમાં વિલંબ થયો હોવાનું માની લીધું. વિપક્ષે દામોદર કુંડમાં દુષિત પાણીના પ્રવાહ મુદ્દે કાર્યવાહી કેમ ન થઈ તેનો પ્રશ્ન ઉઠાવ્યો. વોટર વર્ક્સ ઇજનેરે કહ્યું કે પમ્પિંગ સ્ટેશન માટે વન વિભાગની મંજૂરી જોઈએ, જે વહેલી તકે મળી જશે.
વિપક્ષે 500 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત બાદ પણ એના કોઈ પરિણામ દેખાતા નથી એવી ગંભીર ટીકા કરી. કમિશનરે જવાબ આપતાં જણાવ્યું કે આયોજન મુજબ જ કામ હાથ ધરાશે અને કોઈ ફેરફાર કરવામાં આવશે તો જાણ કરવામાં આવશે. આ ઘટનામાં મૃતકોને સહાય આપી નથી. એવું વિપક્ષનું કહેવું હતું, જ્યારે શાસક પક્ષે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવી હોવાનું જણાવ્યું. કમિશનરે સ્પષ્ટતા કરી કે મનપાના બજેટમાં આવી જોગવાઈ ન હોવાથી સહાય આપવી મુશ્કેલ છે.
મંજુલાબેન પણસારાએ ઝાંઝરડા રોડ પરના દબાણો અંગે કોઈ પગલા ન લેવાતા 15 દિવસમાં નિર્ણય ન આવે તો ઉપવાસ પર બેસવાની ચિમકી ઉચ્ચારી છે. ઝાંઝરડા ડમ્પિંગ સ્ટેશન અને જાહેર સ્વચ્છતા મુદ્દે વાદવિવાદને લઈ વિપક્ષે કહેવું હતું કે ડમ્પિંગ સ્ટેશનમાં ભયંકર ગંદકી ફેલાઈ રહી છે. સેક્રેટરીએ જવાબ આપતાં જણાવ્યું કે સાંજ પછી થઈ જાય છે.