યુદ્ધભૂમિ ભૂચરમોરીમાં ભૂમાફિયાઓ બેફામ, ખનીજચોરી કરી ગૌચરની જમીન પચાવી પાડી
ધ્રોલના ઐતિહાસિક ભૂચરમોરીના યુદ્ધ મેદાનમાં ખનીજચોરો દ્વારા ખનીજચોરી કરીને તેમજ ભૂમાફિયાઓ દ્વારા આ મેદાનની સરકારી જગ્યામાં દબાણ તેમજ બાંધકામ કરીને જમીન પચાવી પડાતાં ગૌચરભૂમિને બચાવવા ધ્રોલ તાલુકાના સમસ્ત રાજપૂત સમાજ દ્વારા રેલી કાઢીને પ્રાંત અને મામલતદારને આવેદનપત્ર અપાયુ હતું તેમજ જો 10 દિવસમાં તંત્ર દ્વારા પગલાં નહી લેવાય તો આંદોલન કરાશે તેવી ચીમકી પણ અપાઈ છે.
આશરાધર્મના પાલન માટે અકબરની સેના સાથે ખેલાયેલા ભીષણ યુદ્ધ બાદ શહીદોની ભૂમિ તરીકે ઓળખાતા પ્રોલના ભૂચર મોરીના વિશાળ મેદાનમાં સરકાર દ્વારા શહિદ સ્મારક તેમજ શહીદ વન માટે જમીન ફાળવાઈ છે જ્યાં હાલમાં ભવ્ય વન તૈયાર થતાં તાલુકાના લોકો માટે પ્રવાસન સ્થળ બન્યું છે ત્યારે આ ગૌચરની જગ્યામાં ભૂમાફિયાઓ દ્વારા બાંધકામ તેમજ જમીનમાં દબાણ કરાયું છે તો ખનીજચોરોએ અહીથી માટીની ચોરી કરવા માટે આ જગ્યા પર કબજો કરવાનું શરૂૂ કર્યું છે ત્યારે આ બાબતે ધ્રોલ તાલુકાના સમસ્ત રાજપૂત સમાજે આજે દીપસિંહજી રાજપૂત છાત્રાલયેથી ભવ્ય રેલી કાઢીને મામલતદાર અને પ્રાંતને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં તંત્ર દ્વારા 10 દિવસમાં જો દબાણ હટાવવામાં નહી આવે તો ગૌચરભૂમિ અને ઐતિહાસિક યુદ્ધ ભૂમિના રક્ષણ માટે તાલુકાના ક્ષત્રિયો આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.