શિવ વાટિકા સોસાયટીમાં માનસિક બીમારીથી કંટાળી વૃદ્ધે ઝેરી ટીકડાં ખાઈ જીવન ટૂંકાવ્યું
રાજકોટ શહેરમાં 80 ફુટ રોડ ઉપર આવેલી શીવ વાટિકા સોસાયટીમાં રહેતા વૃદ્ધે માનસિક બીમારીથી કંટાળી ઝેરી ટીકડા ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. વૃદ્ધના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં 80 ફુટ રોડ ઉપર આવેલી શિવવાટિકા સોસાયટીમાં રહેતા નટુભાઈ આસારામભાઈ નિમાવત નામના 85 વર્ષના વૃદ્ધ પોતાના ઘરે હતા ત્યારે બપોરના બેએક વાગ્યાના અરસામાં ઝેરી ટીકડા ખાઈ લીધા હતા વૃદ્ધને બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં વૃદ્ધની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ટૂંકી સારવાર દરમિયાન નટુભાઈ નિમાવતે હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં આરેલાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક નટુભાઈ નિમાવત મૂળ વડીયા પંથકના વતની હતા અને મંદિરમાં પૂજા અર્ચના કરતા હતા થોડા સમય પૂર્વે જ રાજકોટ રહેતા પુત્રના ઘરે નિવૃત્ત જીવન ગાળવા માટે આવ્યા હતા નટુભાઈ નિમાવતને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે નટુભાઈ નિમાવતે માનસિક બીમારીના કારણે ઝેરી ટીકડા ખાઈ લેતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં દૂધસાગર રોડ ઉપર આવેલી લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીમાં રહેતા સાહિલ રફિકભાઈ કામદાર નામના 35 વર્ષના યુવાને માનસિક બીમારીથી કંટાળી પોતાના ઘરે હતો ત્યારે વહેલી સવારે પોતાની જાતે કેરોસીન છાંટી દિવાસળી ચાંપી લીધી હતી. ગંભીર રીતે દાજી ગયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી દરમિયાન યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં માતમ છવાયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક સાહિલ કામદાર ચાર ભાઈમાં વચ્ચેટ અને અપરિણીત હતો સાહિલ કામદારે માનસિક બીમારીથી કંટાળી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.