રાજકોટમાં વધુ બે માનવ જિંદગીને ભરખી જતો હાર્ટએટેક
ઘર પાસે ઊભેલા આધેડ બેભાન હાલતમાં ઢળી પડતાં અને નિદ્રાધીન પ્રૌઢાને આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડયો
રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાથી અનેક માનવ જિંદગીના શ્વાસ થંભી રહ્યા છે. ત્યારે રાજકોટમાં વધુ બે માનવ જિંદગી હાર્ટએટેકના કાળના ખપ્પરમાં હોમાઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં આધેડ અને પ્રૌઢાને આવેલો હદયરોગનો હુમલો જીવલેણ નિવડતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં કોઠારીયા રોડ ઉપર આવેલા જયરામ પાર્કમાં રહેતા હસમુખભાઈ જેરામભાઈ સિદ્ધપુરા નામના 57 વર્ષના આધેડ સાંજના છએક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતા ત્યારે અચાનક હૃદયરોગનો હુમલો આવતા ઢળી પડ્યા હતા. આધેડને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં હસમુખભાઈ સિધ્ધપુરા બે બહેનોના એકના એક ભાઈ હતા અને તેમને સંતાનમાં ત્રણ પુત્ર છે હસમુખભાઇનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં રાજકોટમાં 150 ફૂટ ઉપર આવેલા કિશન પાર્કમાં રહેતા શીલાબેન રશ્મીનભાઈ સોમૈયા નામના 47 વર્ષના પ્રોઢા પોતાના ઘરે સાંજના સાતેક વાગ્યાના અરસામાં સુતા હતા ત્યારે નિંદ્રાધીન શીલાબેન સોમૈયાને હૃદય રોગનો હુમલો આવ્યો હતો શીલાબેન સોમૈયાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. શિલાબેનને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે