For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં 11 માસમાં 11493 લોકોને ડાઘિયાઓએ કરડી ખાધા

03:41 PM Dec 05, 2023 IST | Bhumika
રાજકોટમાં 11 માસમાં 11493 લોકોને ડાઘિયાઓએ કરડી ખાધા

ચોમાસાના ચાર મહિના કૂતરાં વધુ બેફામ બને છે, કોર્પોરેશનના ચોપડે કૂતરાંની સંખ્યા માત્ર 20640

Advertisement

રાજકોટમાં કુતરા કરડવાની ઘટના રોજીંદી બની ગઈ છે. જે લોકોને કુતરું કરડ્યુ હોય તે લોકો જ આ દર્દ સમજી શકે છે. પરંતુ તંત્રને આ બનાવો પ્રત્યે કોઈ જાતની રૂચિ ન હોય તેવું લાગી રહ્યું છે. જેમાં ગઈકાલે જંગલેશ્ર્વર વિસ્તારમાં પાંચ વર્ષની બાળકીને કુતરાઓએ ફાડી ખાતા શહેરભરમાં હાહાકાર મચી ગયો છે. અને ચોરે ચોપાટે કુતરાઓનો ત્રાસ વધી ગયો હોવાની ચર્ચા જાગી છે. જેમાં તંત્રએ જણાવ્યા મુજબ જાન્યુઆરી માસથી નવેમ્બર માસ સુધીના 11 માસના ગાળામાં 11493 લોકોને કુતરાઓએ બચકા ભર્યા છે અને આ આંકડો હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા લોકોને જ છે બાકી ઘરમેળાએ હુકી દબાવી સારવાર લીધી હોય તે પ્રકારના અસંખ્ય લોકો હશે. હાલની ગણતરી મુજબ શહેરમાં કુતરાની સંખ્યા 20640 હોવાની કોર્પોરેશને જણાવ્યું છે.

રાજકોટ શહેરમાં કુતરાઓનો ત્રાસ દિવસેને દિવસે વધવા લાગ્યો છે. અવાર નવાર કુતરાનો ભોગ બનેલા લોકો મહાનગરપાલિકાને ફરિયાદ કરતા હોય છે. તેવી જ રીતે સરકારી હોસ્પિટલમાં પણ કુતરું કરડ્યાની સારવાર માટે એકધારો પ્રવાહ ચાલુ રહ્યો છે. મહાનગર પાલિકા દ્વારા જાન્યુઆરી માસથી નવેમ્બર માસ સુધીના કુતરા કરડવાના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ જાન્યુઆરીમાં 674, ફેબ્રુઆરીમાં 725, માર્ચમાં 676, એપ્રિલમાં 820, મે મહિનામાં 807, જૂન મહિનામાં 616 ત્યાર બાદ જુલાઈથી આંકડાઓ વધવા લાગ્યા છે. એટલે કે ચોમાસા દરમિયાન સૌથી વધુ ચાર મહિના કુતરાનો કહેર વધુ જોવા મળ્યો છે. જે મુજબ જુલાઈમાં 1656, ઓગસ્ટમાં 1402, સપ્ટેમ્બરમાં 1037, ઓક્ટોબરમાં 1508 અને નવેમ્બર માસમાં 1573 સહિત 11 માસમાં 11493 લોકોને કુતરાએ બચકા ભર્યા હોવાનું મહાનગર પાલિકાના ચોપડામાં નોંધાયેલ છે. આ વિગત ફક્ત પદ્મકુંવરબા હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલમાં સારવાર લીધેલાના લીસ્ટ મુજબ છે. તેમજ સેન્ટ્રલઝોન વિસ્તારો એટલે કે શહેરના જૂના અને ભરચક વિસ્તારોમાં કુતરાઓ કરડવાના વધુ કેસ નોંધાયા હોવાનું પણ જાણવા મળેલ છે.

Advertisement

રખડતા કૂતરાં નહીં પકડાય, કોર્ટની મનાઈ છે, લોકો સાવચેતી રાખે : કોર્પોરેશન
રાજકોટ શહેરમાં કુતરાઓનો આતંક દિવસે દિવસે વધતો જાય છે. લોકો દ્વારા કોર્પોરેશન કુતરા પકડવાની કામગીરી હાથ ધરે તેવી માંગ ઉઠી રહી છે. જેમાં ગઈ કાલે કુતરાનો ભોગ એક બાળકી બનતા શહેરભરમાં આક્રોશ વ્યાપી ગયો છે. પરંતુ મહાનગરપાલિકાના પ્રાણી વિભાગના હેડ ડો. જાકાસણિયાના જણાવ્યા મુજબ કુતરા પકડવાની કામગીરી વર્ષોથી બંધ કરવામાં આવી છે. કોર્ટના આદેશ અનુસાર કુતરાને પકડી સકાતા નથી. તેમજ જો જરૂરિયાત ઉભી થાય અને કોઈ એકલ-દોકલ કુતરાના ત્રાસની ફરિયાદ આવે ત્યારે તેને પકડીને એનિમલ હોસ્ટેલમાં રાખવામાં આવેલ છે. ત્યાં તેની સારવાર કરી આ કુતરું ડાયુડમરુ થઈ જાય એટલે પરત જે જગ્યાએથી ઉપાડવામાં આવ્યું હોય તે જ જગ્યાએ મુકવુ પડે તેવો નિયમ અમલમાં છે. તમામ નગરપાલિકાઓ અને પાલિકાઓમાં હાલ કુતરાને પકડવાની કોઈ જાતની કામગીરી કરવામા આવતી નથી.

તેમણે વધુમાં જણાવેલ કે, કુતરાઓ ઉપર ક્રુરતા આચરવામાં આવી રહી છે. તે પ્રકારની રીટ કોર્ટમાં વર્ષો પહેલા કરવામાં આવેલ જેના આધારે કોર્ટે હુકમ કરેલ કે, જરૂરિયાત પડ્યે કુતરાને પકડ્યા બાદ તેને પરત તે સ્થળે છોડવામાં આવે અગાઉ કોર્પોરેશન દ્વારા જે વિસ્તારોમાં કુતરાનો ત્રાસ હોય ત્યાંથી પકડીને અલગ સ્થળે છોડવામાં આવતા હતા. જેના લીધે અન્ય વિસ્તારોમાં કુતરાઓનો ત્રાસ વધતો હોવાની ફરિયાદ ઉઠી હતી. આ તમામ કામગીરીમાં લોકોની પરેશાનીની સાથો સાથ કુતરાઓ પણ હેરાન થતા હોવાની નોંધ કરી કોર્ટ દ્વારા કુતરા ન પકડવાની સુચના આપવામાં આવી છે. જેનું પાલન ચુસ્ત પણે કરવામાં આવે છે. હાલ મહાનગરપાલિકાએ શહેરની બહાર સ્પેશિયલ શ્ર્વાન માટે એનિમલ હોસ્ટેલ શરૂ કરવામાં આવી છે. જ્યાં વધુ આક્રમકતા ધરાવતા અને ત્યાંથી પસાર થતી દરેક વ્યક્તિને બટકા ભરવા ટેવાયેલા હોય તે પ્રકારના કુતરાઓની સારવાર કરવામાં આવે છે. જે સ્વસ્થ થયા બાદ પરત એજ સ્થળે છોડી દેવામાં આવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement