નાનામવા વિસ્તારમાં શરતભંગ બદલ 40 આસામીઓને નોટીસ ફટકારાઈ
નાનામૌવા નજીક આવેલ ટીઆરપી અગ્નિકાંડના પડઘા હજુ પણ પડી રહ્યા છે. રહેણાક હેતુ માટે ખેતીની જમીન બિનખેતી કરાવ્યા બાદ તેમાં પરમીશન વગર કોમર્શીયલ બાંધકામ ખડકી દેવામાં આવ્યો હોવાનું જિલ્લા કલેક્ટરના ધ્યાન પર આવતા જમીનના માલીકોને લાખો રૂપિયાનો દંડ ફટકાર્યા બાદ રહેણાક હેતુ માટે જમીન બિનખેતી કરાવ્યા બાદ તેનો કોમર્શીયલ ઉપયોગ થતો હોય તેવા આસામીઓ સામે કાર્યવાહી કરવા દરેક મામલતદારોને આદેશ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે પશ્ર્ચિમ મામલતદારે નાનામૌવા વિસ્તારના 40 આસામીઓને નોટીસ ફટકારતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
નાનામૌવા વિસ્તારમાં રહેણાક હેતુ માટે જમીન બિનખેતી કરાવ્યા બાદ તેમાં કોમર્શીયલ ઉપયોગ થતો હોવાનું પશ્ર્ચિમ મામલતદાર યોગેશ શુકલા અને નાયબ મામલતદાર મહિધરસિંહ ઝાલાના ધ્યાન પર આવતા સર્વે શરૂ કર્યો હતો. જેમાં નાનામૌવા નજીક હોટલ, દુકાન સહિતના અનેક બાંધકામો રહેણાક હેતુ માટે બિનખેતી થયેલી જમીનમાં શરૂ કરી દીધું હોવાનું ધ્યાન પર આવ્યું હતું.
સર્વે કર્યા બાદ પશ્ર્ચિમ મામલતદાર અને નાયબ મામલતદારે આજે હોટલ, દુકાન સહિતના 40 જેટલા કોમર્શીયલ બાંધકામ ધરાવતા આસામીઓને નોટીસ ફટકારી ત્રણ દિવસમાં ડોક્યુમેન્ટ સાથે પશ્ર્ચિમ મામલતદાર સમક્ષ હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે. જો શરતભંગ થઈ હશે તો તેવા આસામીઓ સામે શરતભંગ હેઠળ કાર્યવાહી કરી આકરા દંડ કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.
ટીઆરપી અગ્નિકાંડ બાદ આજે નાનામૌવા નજીકના વિસ્તારોમાં એક સાથે 40 જેટલા આસામીઓને કલેક્ટરની સુચનાથી મામલતદારે નોટીસ ફટકારતા વેપારીઓમાંં ખળભળાટ મચી જવા પામ્યો છે.