જામનગરમાં પ્રેમ પ્રકરણમાં યુવકનું પિતા-પુત્રએ કારમાં અપહરણ કરી લઈ જઈ ઢોર માર માર્યો
- હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાને હુમલાખોરોના ડરથી ઘટનાને અકસ્માતમાં ખપાવવા પ્રયાસ કર્યો’તો
જામનગરમાં રહેતા પરિણીત યુવકને ગણપતિ ઉત્સવ દરમિયાન પરિણીતા સાથે આંખ મળી જતાં બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. જે પ્રેમ સંબંધની પરિણીતાના પરિવારને જાણ થતાં જેઠ અને જેઠના પુત્રએ પરિણીતાના પ્રેમીનું અપહરણ કરી જામખંભાળીયા તાલુકાના ગામના વાડી વિસ્તારમાં લઈ જઈ માર માર્યો હતો. હુમલાખોરના ડરથી યુવાન ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને રાજકોટ ખસેડાતા યુવકનું પ્રેમ પ્રકરણમાં અપહરણ કરી માર માર્યો હોવાનું સામે આવ્યું હતું.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, જામનગરમાં આવેલા મયુરનગરમાં રહેતા મહેશ કાનજીભાઈ સિતાપરા નામનો 23 વર્ષનો યુવાન ત્રણ દિવસ પૂર્વે બપોરના સમયે કમલેશભાઈની વાડીએ હતો ત્યારે જયપાલસિંહ અને તેના પુત્ર રવિરાજસિંહ સહિતના શખ્સોએ મહેશ સિતાપરાનું કારમાં અપહરણ કરી જામખંભાળીયા તાલુકાના એક ગામના વાડી વિસ્તારમાં લઈ ગયા હતાં અને જ્યાં લોખંડના સળીયા અને પાઈપ વડે બેરહેમીથી માર માર્યો હતો. યુવકને ગંભીર ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે જામનગર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં હુમલામાં ઘવાયેલા મહેશ સિતાપરાને ગણપતિ ઉત્સવમાં દિવ્યાબા ચુડાસમા નામની પરિણીતા સાથે આંખ મળી જતાં બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. જે પ્રેમ પ્રકરણની પરિણીતાના પરિવારને જાણ થતાં પરિણીતાના જેઠ અને જેઠના દિકરા સહિતનાએ મહેશ સિતાપરાનું અપહરણ કરી માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે અને હુમલાખોરોના ડરના કારણે મહેશ સિતાપરાએ જામનગર હોસ્પિટલમાં તબીબોની પુછપરછમાં ઘટનાને અકસ્માતમાં ખપાવી હતી. પરંતુ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતાં યુવકનું અપહરણ કરી માર માર્યો હોવાની ઘટના સામે આવી હતી. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.