ઉપલેટાના જાળ ગામે ઘઉંના પાકમાં આગ લાગતા ખેડૂતો થયા પાયમાલ
- જીઈબીની બેદરકારીથી ત્રણ ખેડૂતોના 33 વિઘાના ઘઉં સળગી ગયા: રૂા.સાડા છ લાખની નુક્સાની થતાં ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો
ખેડૂતોને અત્યારે ઘઉં પાકી ગયા હોય અને લણવાની શરૂૂઆત થઈ રહી હોય ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના જાળ ગામે પણ ખેડૂતોમાં ઘઉંના ઉત્પાદનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો કારણ કે અગાઉ કમોસમી વરસાદને લઈને ખેડૂતોના કપાસ બગડી જવાથી કાઢી નાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ નુકસાની તેમજ ખર્ચો સરભર કરવા માટે ખેડૂતોએ ઘઉંના વાવેતર કરેલ હોય, પરંતુ આ ઉત્સાહ જાણે ક્ષણભંગુર હોય એમ ખેડૂતોને હતાશા મળી.
ઉપલેટા તાલુકાના જાળ ગામે લખમણભાઇ હરસુરભાઈ હુંબલ તથા તેમના ભાઈ ગોવિંદભાઈ હરસુરભાઈ હુંબલ તેમજ કાનાભાઈ દેવાયતભાઈ હુંબલ નામના ખેડૂતોએ પણ અન્ય ખેડૂતોની જેમ હોંશે હોંશે ઘઉંના વાવેતર કરેલ હોય. આવતીકાલે પાકી ગયેલા ઘઉંની લણણી કરવાની હોય જેને લઈને હાર્વેસ્ટર મશીન આવવાનું હતું પરંતુ કુદરત જગતના તાતને ખુશી આપવા ઈચ્છતો ન હોય તેમ ઉભા ખેતરોમાં વિજ થાંભલાના ટીસીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા લખમણભાઇ હરસુરભાઈના 14 વીઘાના 1,80,000 રૂૂ.ના ઘઉં સળગી ઊઠ્યા હતા બાજુમાં તેમના ભાઈ ગોવિંદભાઈ હુંબલનું 10 વીઘાનું ખેતર આવેલ હોય તેને પણ લપેટમાં લઈ લેતા 2 લાખની નુકસાની થવા પામી હતી જ્યારે ભારે પવનના કારણે ત્રીજું ખેતર કાનાભાઈનું નવ વીઘાનું આવેલું હોય તે પણ આગની લપેટમાં આવતા તેમને 1 લાખ 80 હજારની નુકસાની થઈ હતી. આ શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા કુલ 33 વીઘામાં 6:60 લાખ કરતાં વધારેની નુકસાની થવા પામી હતી.
ખેડૂતોએ મંડળીઓ અને બેંકોમાંથી ધિરાણો લીધેલા હોય પણ હવે આવી પડેલ નુકસાનીના કારણે ધિરાણ ભરવા પણ દોહ્યેલા થઈ ગયા છે. ગત વર્ષે પણ આજ ટીસીમાં સ્પાર્ક થતા તણખા ઝર્યા હતા પરંતુ ઘઉં લીલા હોય અને પાણીના પિયત કરેલા હોવાથી જમીન ભીની હતી તેથી ગત વર્ષે પણ નુકસાની થતા અટકી હતી ત્યારે પણ તંત્રને રજૂઆત કરેલી હોય જે તંત્ર દ્વારા ધ્યાન ન આપતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો.મોટી સંખ્યામાં ખેડૂતો ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે પહોંચી વીજ તંત્ર સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.