અક્ષરનગરમાં પતિ સાથે ઝઘડો થતા પત્નીનો આપઘાતનો પ્રયાસ
શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા અક્ષરનગરમાં રહેતી પરિણીતાએ નજીવા પ્રશ્ન પતિ સાથે ઝઘડો થતા બીમારીની વધુ પડતી દવા પી લીધી હતી. પરિણીતાની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા અક્ષરનગરમાં રહેતી ભાવનાબેન દીપકભાઈ મરદનીયા નામની 34 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે નજીવા પ્રશ્ને પતિ સાથે ઝઘડો થતા તેણીને માઠું લાગી આવતા બીમારીની વધુ પડતી દવા પી લીધી હતી.
પરિણીતાની તબિયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.આ ઉપરાંત અન્ય બનાવમાં જામનગર રોડ ઉપર સ્લમ ક્વાર્ટરમાં રહેતા રવિ નાથાભાઈ નારોલા નામનો 32 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો કરી ઝેરી દવા પી લીધી હતી.
આ ઉપરાંત મેટોડામાં આવેલ બાલાજી રેસીડેન્સીમાં રહેતા દેવીદાસ જીણારામ રામદેવ પૌત્રા નામનો 34 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો. ત્યારે પત્ની સાથે ઝઘડો થતાં એસિડ પી લીધું હતું. જ્વલનશીલ પ્રવાહી પી લેનાર યુવકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.