રાઘવજી પટેલની તબિયતમાં સુધારો , નિષ્ણાત તબીબોના માર્ગદર્શનમાં સારવાર
ગુજરાતના કેબિનેટમંત્રી રાઘવજી પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે ત્યારે હાલ તેની તબિયત સ્થિર હોવાનું જણાવાય છે. રાઘવજી પટેલની મુંબઈના નિષ્ણાંતો અને રાજકોટ એઈમ્સના તબીબોના માર્ગદર્શન હેઠળ સારવાર ચાલી રહી છે. હજુ બે દિવસ તેમને આઈસીયુમાં રાખવામાં આવનાર હોવાનું તબીબોનું કહેવું છે.
બ્રેઈન સ્ટ્રોક આવ્યા બાદ હાલ તેમની તબિયતમાં સુધારો થયો હોવાનું સીનર્જી હોસ્પિટલના ડો. સંજય ટીલાળાએ જણાવ્યું હતું.દરમિયાન શહેર ભાજપ પ્રમુખ મુકેશ જોશીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, રાઘવજીભાઈની તબિયત હાલ સુધારા પર હોવાનું તબીબો જણાવી રહ્યા છે. અને સારવાર માટે એઈમ્સના ડાયરેક્ટર ઉપરાંત મુંબઈના નિષ્ણાંતો પણ તેમની સારવારમાં માર્ગદર્શન આપી રહ્યા છે.
રાઘવજીભાઈને વધુ સારવાર માટે મુંબઈ લઈ જવાની વાત અંગે તેમણે જણાવેલ કે, તેમના પરિવારજનોની ઈચ્છા મુંબઈ સિફ્ટ કરવાની હતી પરંતુ તબીબોની સલાહના કારણે અહીં જ સારવાર ચાલુ રાખવામાં આવી છે. હાલ મુંબઈ સિફ્ટ કરવાની જરૂરિયાત નહીં હોવાનું તબીબો જણાવી રહ્યા છે.
બીજી તરફ તેમના ખબરઅંતર પૂછવા માટે વહેલી સવારથી નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો. અગાઉ કેબિનેટ મંત્રી મૂળૂ બેરા રાઘવજી પટેલના ખબરઅંતર પૂછવા માટે સિનર્જી હોસ્પિટલ પહોંચ્યા હતા.જે બાદ જ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂૂપાલા પણ રાઘવજી પટેલના ખબરઅંતર પૂછવા સિનર્જી હોસ્પિટલ પહોંચ્યા હતાં. આ સાથે સાંસદ મોહન કુંડારિયા અને પુનમબેન માડમ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ઉદય કાનગડ, દર્શિતાબેન સહિતના નેતાઓ રાઘવજી પટેલના ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા.
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટંકારાની મુલાકાતે આવી રહ્યાં છે, ત્યારે પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને તેઓ હોસ્પિટલ ખાતે રાઘવજી પટેલના ખબરઅંતર પૂછવા આવે તેવી શક્યતા છે. એવું પણ કહેવાય છે કે, એર એમ્બ્યુલન્સ મારફતે રાઘવજી પટેલને મુંબઈ અથવા અમદાવાદ લઈ જવામાં આવી શકે છે. જો કે પરિવારજનો દ્વારા રાઘવજીને મુંબઈ લઈ જવાની વિચારણા કરવામાં આવી રહી છે. જેથી સાંજ સુધીમાં કૃષિ મંત્રીને મુંબઈ લઈ જવામાં આવી શકે છે.