બર્ધનચોકમાં ગેરકાયદે દુકાનનું બાંધકામ પોલીસ બંદોબસ્ત સાથે તોડી પડાયું
જામનગરના બર્ધનચોકમાં ગેરકાયદે ખડકાયેલ બે માળની દુકાનને આજે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ દ્વારા તોડી પાડવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ બાંધકામ તોડી પાડવામાં આવી રહ્યું છે. જામનગરના બર્ધનચોક જેવા ભરચક્ક વિસ્તારમાં ગ્રાઉન્ડ ફલોર ઉપરાંત બે માળની દુકાનનું ગેરકાયદે બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું. આ અંગે મહાનગરપાલિકા દ્વારા બાંધકામ ધારકને નોટીસ પાઠવવામાં આવી હતી. આ પછી આજે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ ઓપરેશન ડિમોલીશન માટે આવી પહોંચી હતી અને દુકાનનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની કામગીરી શરૃ કરી હતી. જામનગર મહાનગરપાલિકાના અધિકારી મુકેશ વરણવા, એન.આર. દિક્ષિત, સુનિલ ભાનુશાળી, ઉર્મિલ દેસાઈ, યુવરાજસિંહ ઝાલા, અનવર ગજણ સહિતની ટીમની સીધી દેખરેખ હેઠળ એસ્ટેટ શાખાના સ્ટાફ દ્વારા પાડતોડની કામગીરી હાથ ધરવામાં આવી છે. એક માળે આશરે 4પ મળી કુલ 13પ ચોરસ ફૂટનું ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું. જેને તોડી પાડવામાં આવી રહ્યું છે. આ પાડતોડ સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવ્યો છે. બપોર સુધીમાં ગ્રાઉન્ડ ફલોર તથા બે માળની દુકાનનું ગેરકાયદે બાંધકામ દૂર કરાશે.