કૌભાંડિયા કોર્પોરેટરોને પદભ્રષ્ટ નહીં કરાય તો કોંગ્રેસ કોર્ટના દ્વાર ખખડાવશે
- મનપાના મેયર અને કમિશનરની જવાબદારી રહેશે તેવી ચીમકી મહેશ રાજપૂતે ઉચ્ચારી
મહાનગરપાલિકામાં તાજેતરમાં બે મહિલા કોર્પોરેટરના પતિઓ દ્વારા આવાસ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેની તપાસ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવી રહી છે. જ્યારે ભાજપના કોર્પોરેટરોને પક્ષના માંથી હાંકી કાઢવામાં આવ્યા છે. પરંતુ તેમણે કરેલ કૃત્ય બદલ તેમના વિરુદ્ધ પગલા લેવા જોઈએ તેમ જણાવી કોંગ્રેસના મહેસ રાજપૂતે મેયર અને મ્યુનિસિપલ કમિશનરને જવાબદાર ઠેરવી કૌભાડિયા કોર્પોેટરને પદભ્રષ્ટ કરવામાં નહીં આવે તો કોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
મહેશ રાજપૂતે જણાવેલ કે, ગરીબ અસરગ્રસ્તોના મકાનો પચાવી પાડવાની પેરવી કરનાર ભાજપના મહિલા કોર્પોરેટરના પતિઓએ ગંભીર કૃત્ય કર્યુ છે. જેને છાવરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મ્યુનિસિપલ કમિશનર દદ્વારા તપાસ કરવામાં આવેલ જેમાં સાબિત થયું છે કે, આ લોકોને ખોટી રીતે આવાસો ફાળવી દેવામાં આવ્યા છે. આથી સજારૂપે ફક્ત આવાસોની ફાળવણી રદ કરી આવાસ યોજના વિભાગના અધિકારીઓ તેમજ આ કોર્પોરેટરોના પતિઓને ક્લિનચીટ આપી દેવામાં આવી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીમાંથી ચુંટાયેલા કોર્પોરેટરોના પતિઓએ ગરીબો સાથે કૃર મજાક કરી તેમના આવાસો હજમ કરી જવાનું ગુનાહિત કૃત્ય કર્યુ છે. છતાં ભાજપ દ્વારા બન્ને કોર્પોરેટરોની પક્ષમાંથી છ વર્ષ માટે હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. પરંતુ કોર્પોરેટર પદે તેમણે ચાલુ રાખવામાં આવ્યા છે. જે બરોબર નથી. આ બન્ને કોર્પોરેટરોને આ કૌભાંડ બદલ કોર્પોરેટર પદેથી દૂર કરી તેમની વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ સહિતની ફરિયાદો નોંધવી જોઈએ તેવી રજૂઆત પણ અમે કરેલી છે. છતાં આજ સુધી પગલા લેવાયા નથી આથી જો કૌભાંડિયા કોર્પોરેટરોને પદભ્રષ્ટ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં હાઈકોર્ટના દ્વાર ખખડાવી તેમની વિરુદ્ધ પીટીસન દાખલ કરવામાં આવશે.