ચૂંટણી લડનારા નબળા હશે તો હું વિધાનસભા જ નહીં લોકસભા પણ લડીશ: મધુ શ્રીવાસ્તવ
વડોદરા લોકસભા બેઠકની સાથે-સાથે વાઘોડિયા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી પણ થવા જઇ રહી છે.ચૂંટણીનો માહોલ આવતા જ વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી મેદાનમાં આવ્યા છે. તેમણે જણાવ્યું છેકે, કેવા સમીકરણો છે, કેટલા ઉમેદવારો છે તેને જોઇને ચૂંટણી લડવી કે નહીં તે નક્કી કરીશ. જો ચૂંટણી લડનારા નબળા હશે તો હું વિધાનસભા જ નહીં પણ લોકસભાની ચૂંટણી પણ લડીશ. આ ચૂંટણીમાં હું ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ લડીશ.
મધુ શ્રીવાસ્તવે જણાવ્યું છેકે, એક જ વર્ષમાં મોકળું મેદાન મળ્યું છે, તો કોઈ પણ વ્યક્તિ ચાન્સ છોડી ન શકે. વાઘોડિયા બેઠક પર કઈ પાર્ટીના કેટલા ઉમેદવારો અને કઈ જાતિના કેટલા ઉમેદવારો લડે છે, તેના પરથી સમીકરણ નક્કી થશે. આ સમીકરણ જોઈને જ હું મેદાનમાં પડીશ.સમીકરણ જો ભાજપની વિરોધમાં ચાલતો હશે, તો પાછળથી હું સપોર્ટ કરીશ. અને ભાજપની સામે લડવું હશે તો લડીશ પણ ખરો. આ વખતે 110 ટકા ચૂંટણી લડવાનો છું. પરંતુ પરિસ્થિતિ જોઈને લડીશ. જીતી શકે એવું જ લડવાનું, હારે તેવું લડવાનું નથી.
વડોદરા બેઠક પર ભાજપે રંજનબેન ભટ્ટને રીપીટ કર્યા તે અંગે જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં હું એમની વિરુદ્ધ લડીશ. હું કોર્પોરેશનમાં અપક્ષ તરીકે જીત્યો, ત્યારે ભાજપ મને લેવા આવી હતી. વિધાનસભામાં પણ અપક્ષમાં જીત્યો, ત્યારે પણ ભાજપ મને લેવા આવી હતી અને જ્યારે ભાજપે ટિકિટ ના આપી ત્યારે હું અપક્ષમાં લડ્યો હતો.