વિકાસની ગતિ હું ક્યારેય ધીમી પડવા દેતો નથી: મોદી
- અમદાવાદથી 10 નવી વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપવા સાથે 85 હજાર કરોડની પરિયોજનાઓના શિલાન્યાસ-લોકાર્પણ કરતા વડાપ્રધાન
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજે લોકસભાની ચૂંટણી જાહેર થઈ તે પહેલા ગુજરાતમાં અમદાવાદની મુલાકાતે આવ્યા છે અને 10 વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપવા સાથે રેલવેના કુલ 85 હજાર કરોડની પરીયોજનાઓના શિલાન્યાસ અને ખાતમુહુર્ત કર્યા હતાં. સાથો સાથ સાબરમતિ નદીના કિનારે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમના રૂા. 1200 કરોડના રિ -ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ભૂમિ પૂજન પણ કર્યુ હતું.
આ પ્રસંગે જાહેરસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, હું વિકાસની ગતિ ક્યારેય ધીમી પડવા દેતો નથી રેલવેનો વિકાસએ મોદીની ગેરંટી છે નવી વંદે ભારત દેશના 250થી વધુજિલ્લાઓમાં પહોંચી છે. 21મી સદીમાં ભારતીય રેલવેની તસ્વીર બદલાઈ રહી છે. છેલ્લા 10 વર્ષમાં પૂર્વથી પશ્ર્ચિમ તરફ જોડતો કોરીડોર પૂર્ણતાના આરે છે. ભારતની સેમી હાઈસ્પીડ ટ્રેનની માંગ આગામી દિવસોમાં વિશ્ર્વભરમાં વધવાની છે. અમારા માટે રેલવેનો વિકાસ રાજનીતિ માટે નથી પહેલાની પેઢીએ જે ભોગવ્યું છે આજના યુવાનો નહીં ભોગવે.
વડાપ્રધાને આ તકે કોંગ્રેસ ઉપર પણ પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના રાજમાં રેલવેમાં અનેક પ્રોજેક્ટ ભટકતા રહ્યા હતાં. કેટલાક લોકો રેલવેને રાજનિતીની નજરે જુવે છે આજે જે લોકાર્પણ થયા છે તે યુવાનોના વર્તમાન માટે છે. દેશના દરેક ખુણે રેલવે પહોંચાડવાનું કામ કર્યુ છે. ગુજરાતમાં દહેજમાં પેટ્રોકેમીકલ્સ પરિસરનું ઉદ્ઘાટન અને રેલવેની કાયાપલટ એ વિક્સિત ભારતની ગેરંટી છે.વડાપ્રધાને વિશેષમાં જણાવ્યું હતું કે, સરકાર વંદેભારત ટ્રેનના રૂટ લંબાવી રહી છે. 2014થી દેશમાં રેલવે વિભાગમાં શાંતિ આવી છે હાલ જે કામ ચાલી રહ્યા છે તે માત્ર ટ્રેલર છે. મારે હજુ ઘણું આગળ વધવું છે. વિકાસની ગતિ હું ક્યારેય ધીમી પડવા દેતો નથી. પહેલા રેલવે સ્ટેશનો ગંદકીથી ખદબદતા હતાં આજે સ્વચ્છ અને સુઘળ રેલવે સ્ટેશનો જોઈ શકાય છે. અગાઉ રેલવે રાજનિતિનો શિકાર બનતી હતી પરંતુ હવે રેલવે એક બારત શ્રેષ્ઠ ભારતનો મજબુત પાયો બની રહી છે. અમારી સરકારે રેલવે બજેટમાં 6 ગણો વધારો કર્યો છે. એન આગામી પાંચ વર્ષમાં રેલવેની સંપૂર્ણ કાયાપલટ થશે.
આજે વડાપ્રધાને સાબરમતિ ગાંધી આશ્રમના રિ-ડેવલોપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહુર્ત પણ કર્યુ હતું. જે અંતર્ગત અભયઘાટ ખાતે જાહેરસભા યોજાઈ હતી. આ સભામાં કુલ 28 જેટલા આધુનિક અને જૂનવાણી બન્ને પ્રકારના ચરખાઓ ચલાવતી મહિલાઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી.આજની સભામાં વડાપ્રધાન નરેન્દ્રમોદી સાથે ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવ ઉપસ્થિત રહ્યા હતાં. આજે ગુજરાતને નવી વંદેભારત ટ્રેન મળી હતી જે અમદાવાદથી મુંબઈ વચ્ચે ચાલશે. આ ઉપરાંત હાલની જામનગર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસને પણ ઓખા સુધી લંબાવવામાં આવી હતી.