ભાજપમાં ખીસકોલીની જેમ યોગદાન આપીશ, કોંગ્રેસની NGO જેવી હાલત: અર્જુન મોઢવાડિયા
લોભ-લાલચ વગર ભાજપમાં જોડાયાની મોઢવાડિયાની સ્પષ્ટતા
ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, મેં અને અંબરીશભાઈએ ગઈકાલે જ પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો. દેશની આઝાદી પહેલા દેશની પ્રજા, નાગરીકો, ક્રાંતિકારીઓ તમામ મહાત્મા ગાંધીની આગેવાનીમાં એકત્ર થયા અને રાજકીય આઝાદી મેળવવાનું લક્ષ્ય હતું પણ સામાજિક અને આર્થિક આઝાદી મેળવવાની બાકી છે. એ સપનું આજે પણ અધુરું લાગે છે. એ સમયે ગાંધી અને સરદાર નેતૃત્વ કરતા હતા. જ્યારે આજે મોદી-શાહ નેતૃત્વ કરે છે. વિકસિત ભારતનું સપનું લઈને કામ કરે છે. દેશમાં બદલાવ લાવી મહાસત્તા તરીકે સ્થાપવાનું સપનું મોદીએ જોયું છે એટલે તેની પર મોદી-શાહ કામ કરે છે. એ સમયે પણ તમામ વર્ગના લોકો એક છત નીચે ભેગાં થયા હતા. આ વખતે નરેન્દ્ર ભાઈની આગેવાની હેઠળ તમામ નાગરિક એક થઈને જોડાયા છે. કોંગ્રેસના કપરા સંજોગોમાં નેતૃત્વ કર્યું છે.