‘ટીવી જોવા રૂમમાં જાઉં છું’, કહી પુત્રનો ગળેફાંસો ખાઇ આપઘાત
- લોધેશ્વર સોસાયટીના યુવાને જીવન ટૂંકાવી લેતા પરિવારમાં ગમગીની
શહેરના ગોંડલ રોડ પર લોધેશ્વર સોસાયટીમાં રહેતા રીક્ષાચાલક યુવાને માતાને ‘હું ટીવી જોવા રૂમમાં જાઉં છું’ કહી રૂમમાં જઇ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર લોધેશ્વર સોસાયટીમાં રામનગર રોડ પર રહેતા કિશન દિલીપભાઇ ગમચા (ઉ.29) નામના યુવાને ગઇકાલે રાતે પોતાના ઘરે હતો ત્યારે તેના માતા રસોઇ બનાવતા હોય જેને હું ટીવી જોવા રૂમમાં જઉં છું. તેમ કહી રૂમમાં જઇ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બાદમાં પરિવારને જાણ થતા તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજયું હતું.
આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી માલવીયાનગર પોલીસને જાણ કરતાં એએસઆઇ કે.યુ. વાળા સહીતના સ્ટાફે હોસ્પીટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક કિશન બે ભાઇ, એક બહેનમાં નાનો અને અપરિણીત હતો. તથા રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતો હતો. તેને પેટમાં દુ:ખાવો થતો હોય જેથી તેના કારણે કે અન્ય કોઇ કારણે આ પગલું ભરી લીધુ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી છે.