હિજાબ અને નમાજ: ગુજરાતની બે ઘટના બતાવે છે કે લોકોમાં પૂર્વગ્રહ ઘર કરી ગયો છે
ગુજરાતમાં છેલ્લાં બે દિવસમાં બનેલી બે ઘટના ચર્ચામાં છે. પહેલી ઘટના અંકલેશ્ર્વરમાં બની કે જ્યાં અંકલેશ્ર્વર જીઆઈડીસી વિસ્તારની લાયન્સ સ્કૂલમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓના હિજાબ કઢાવવામાં આવ્યા. તેના કારણે ભારે વિવાદ થઈ ગયો ને છેવટે જિલ્લા શિક્ષણાધિકારીએ સમજદારી બતાવીને શાળાના બોર્ડ પરીક્ષા નિરીક્ષકને પરીક્ષા કામગીરીમાંથી હટાવી દઈને વિરોધને શાંત પાડવો પડ્યો.
બીજી ઘટના અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં બની કે જ્યાં પોતાની રૂૂમમાં નમાઝ પઢી રહેલા મુસ્લિમ વિદ્યાર્થીઓ સામે કેટલાક વિદ્યાર્થીઓએ વાંધો ઉઠાવ્યો તેમાં મારામારી થઈ ગઈ. આ મારામારીના પગલે વિદ્યાર્થીઓએ ફોન કર્યા હશે તેથી જયશ્રી રામના નારા સાથે કેસરી ખેસ પહેરીને આવેલા ટોળાએ યુનિવર્સિટી હોસ્ટેલ સંકુલમાં મુસ્લિમ વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો અને વિદેશી મુસ્લિમ વિદ્યાર્થીઓ સાથે મારામારી કરીને તેમને ફટકારતાં હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા.
આ ટોળાના હુમલામાં ચાર મુસ્લિમ વિદ્યાર્થી ઘાયલ થયાનું કહેવાય છે. ટોળાએ વિદ્યાર્થીઓ પર પથ્થરમારો કરી હોસ્ટેલમાં તોડફોડ પણ કરી અને વાહનોને પણ નિશાન બનાવ્યાં. સીસીટીવી ફૂટેજ ફરતા થયા છે તેમાં તોફાનીઓ લાકડી-દંડા વડે તોડફોડ કરતા દેખાય જ છે.
આપણે ત્યાં કોઈ પણ ઘટના માટે સરકાર કે તંત્ર પર દોષારોપણ કરવાની ફેશન છે પણ આ ઘટનામાં બંનેનો વાંક નથી પણ આ બંને ઘટના ગંભીર છે. આ બંને ઘટના ગુજરાતમાં કટ્ટરવાદી માનસિકતા પાંગરી રહી હોવાનો પુરાવો છે અને આ માનસિકતા વકરીને ગુજરાતમાં અશાંતિ ઊભી કરી નાખે એ પહેલાં તેને ડામી દેવી જરૂૂરી છે. આ બંને ઘટનામાં જે લોકો દોષિત છે તેમણે સરકારી નિયમો અને કાયદાની ઐસીતૈસી કરીને પોતાની હલકી માનસિકતા બતાવી છે. આ હલકી માનસિકતાને જરાય ના પોષી શકાય તેથી બંને ઘટનામાં સરકાર આકરાં પગલાં ભરે એ જરૂૂરી છે.