ગોંડલના કુખ્યાત નિખિલ દોંગાને ગુજસીટોકના ગુનામાં જામીન મુક્ત કરતી હાઇકોર્ટ
ગોંડલની સબજેલમાં રહી ગેરકાનૂની પ્રવૃત્તિઓનું નેટવર્ક ચલાવતા નિખિલ દોંગા અને તેના 13 સાગરિતો વિરુદ્ધ 135 થી વધુ ગુના નોંધાયા હતા. ગુજસીટોકના ગુનામાં સાબરમતી જેલ હવાલે રહેલા કુખ્યાત નિખિલ દોંગાને જામીન મુક્ત કરવા હાઇકોર્ટે હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ ગોંડલ શહેરના વોરાકોટડા રોડ ઉપર સબજેલને જલસા જેલ બનાવી જેલની અંદર જ રહીને નિખિલ દોંગા ગેંગ દ્વારા સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓનું નેટવર્ક ચલાવવામાં આવતું હોવાનો ભાંડો ફૂટ્યા બાદ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી નિખિલ દોંગા અને તેના સાગરીત વિજય જાદવ, પૃથ્વી જોશી, નવઘણ શિયાળ, દર્શન સાકરવાડીયા, વિશાલ પાટકર, અક્ષય ઉર્ફે ગીરી દુધરેજીયા, શક્તિસિંહ ચુડાસમા, અજય કુભારવાડીયા, દેવાંગ જોષી, નરેશ સિંધવ, કમલેશ સિંધવ, જેલર ધીરુ કરસન પરમાર અને પિયુષ કોટડીયા સહિતનાઓને ઝડપી લઇ 135 થી વધુ કેસ નોંધાયા હોવાથી તેની સામે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરી રાજ્યની જુદીજુદી જેલ હવાલે કર્યા હતા બાદ રાજકોટ ખાતે સ્પેશિયલ કોર્ટમાં તમામ આરોપીઓ વિરુદ્ધ 48500 પાનાનું ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતી. જેલ હવાલે રહેલા કુખ્યાત નિખિલ દોંગાએ જેલ મુક્ત થવા પોતાના એડવોકેટ મારફતે હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા જેમાં બંને પક્ષના વકીલોની રજૂઆત બાદ બચાવ પક્ષે રોકાયેલા એડવોકેટ દ્વારા કરવામાં આવેલી દલીલો અને રજૂ રાખેલા જુદી જુદી હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાને લઈને હાઈકોર્ટે ગુજસીટોકના ગુનામાં જેલ હવાલે રહેલા કુખ્યાત નિખિલ દોંગાને જામીન મુક્ત કરવા હુકમ કર્યો છે.