હૃદયરોગનો હુમલો: કારખાનેદારની પત્ની સહિત બેનાં શ્ર્વાસ થંભી ગયા
ઓમનગરમાં પ્રૌઢા વહેલી સવારે અને ઢોલરામાં ખેતી કામ કરતા આધેડને હાર્ટએટકે આવતા ઢળી પડયા
રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળનાં ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ બે બનાવમાં દોઢ સો ફૂટ રિંગ રોડ ઉપર ઓમનગરમાં કારખાનેદારની પત્ની અને રાજકોટના ઢોલરા ગામે ખેત મજૂરી કરતા ખેડાના આધેડીનું હૃદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં કરુણ કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ દોઢ સો ફૂટ રિંગ રોડ ઉપર ઓમનગરમાં રહેતા જ્યોત્સનાબેન અરવિંદભાઈ કોઠીયા નામના 52 વર્ષના પ્રોઢા વહેલી સવારે સાડા છએક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા. ત્યારે તેમને અચાનક હૃદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા પ્રોઢાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક જ્યોત્સનાબેન કોઠીયાના પતિ કારખાનેદાર છે અને તેમને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.
બીજા બનાવમાં મૂળ ખેડાના વતની અને હાલ રાજકોટના ઢોલરા ગામે જીવાભાઇ ભરવાડની વાડીએ ખેતી કામ કરતા રમેશભાઈ ચતુરભાઈ સેનવા નામના 50 વર્ષના આધેડ સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં વાડીએ કામ કરતા હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. આધેડને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી આધેડનું હદયરોગના હુમલાથી મોત નીપજયુ હોવાનું જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક રમેશભાઈ સેનવા ખેડાના વતની હતા. અને હાલ ઢોલરા ગામે ખેત મજૂરી માટે આવ્યા હતા. રમેશભાઈ સેનવા બે ભાઈમાં મોટા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે શાપર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.