હાર્ટએટેક: પિતરાઇ બહેનને સાસરે વળાવે તે પહેલાં જ ભાઇએ પરલોકની વાટ પકડી
માંગરોળ લગ્નપ્રસંગેમાં ગયેલા રાજકોટના યુવકનું હૃદયરોગના હુમલાથી મોત નીપજતા ખુશીનો માહોલ માતમમાં છવાયો
રાજકોટ સહિત રાજ્યભરમાં વધી રહેલા હૃદય રોગના વધતાં બનાવે ચિંતા વધારી હોય તેમ દરરોજ બે થી ત્રણ લોકોના હાર્ટ એટેકથી મોત થઈ રહ્યા છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં રહેતો યુવાન માંગરોળમાં પિતરાઇ બહેનના લગ્ન પ્રસંગે ગયો હતો ત્યારે બહેનને સાસરીએ વળાવે તે પૂર્વે જ હાર્ટ એટેકથી ભાઇનું મોત નીપજતા પરિવારમાં ખુશીનો માહોલ માતમમાં છવાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં શીતલ પાર્ક પાસે રહેતા રણજીતભાઈ બચુભાઈ રાઠોડ નામનો 35 વર્ષનો યુવાન માંગરોળ ગામે રહેતા કાકા રતિભાઈ ચનાભાઈ રાઠોડના ઘરે હતો ત્યારે રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. રણજીતભાઈ રાઠોડને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી રણજીતભાઈ રાઠોડનું હૃદય રોગના હુમલાથી મોત નિપજયુ હોવાનું જાહેર કરતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક રણજીતભાઈ રાઠોડ ત્રણ ભાઈ ત્રણ બહેનમાં વચ્ચેટ હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે રણજીતભાઈ રાઠોડ વેરાવળ રહેતા કાકા રતિભાઈ રાઠોડની પુત્રી કોમલના લગ્ન પ્રસંગમાં ગયા હતા અને આજે પિતરાઇ બહેન કોમલબેનની જુનાગઢથી જાન આવવાની હતી જેની આગલી રાત્રે જમ્યા બાદ તૈયારી કરી રહ્યા હતા તે દરમિયાન રણજીતભાઈ રાઠોડને આવેલો હદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.