For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હૃદયરોગનો હુમલો: વધુ4 લોકોના શ્ર્વાસ થંભી ગયા

03:31 PM Oct 10, 2024 IST | admin
હૃદયરોગનો હુમલો  વધુ4 લોકોના શ્ર્વાસ થંભી ગયા

પરિણીતા, યુવાન અને બે વૃદ્ધને આવેલો હદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો

Advertisement

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે વધુ ચાર માનવ જિંદગી ધબકારા ચુકી ગઈ છે. કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં શીતળાધાર 25 વારિયામાં રહેતી સુંદરબેન રાજકિશોરભાઈ ચૌધરી નામની 40 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે સવારના સાતેક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડી હતી. પરિણીતાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં પરિણીતાનું હાર્ટ એટેકથી મોત નીપજયુ હોવાનું ફરજ પરના તબીબે જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક પરિણીતા મૂળ બિહારની વતની હતી અને તેને સંતાનમાં બે પુત્ર અને પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

બીજા બનાવમાં પુજારા પ્લોટ સામે લક્ષ્મીવાડી ક્વાર્ટરમાં રહેતા જયેશભાઈ દિનેશભાઈ બોરીચા નામનો 33 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે તેને છાતીમાં દુખાવો ઉપડતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જયા યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવકનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી પ્રાથમિક પૂછપરછમાં મૃતક જયેશ બોરીચા બે ભાઈ બે બહેનોમાં વચ્ચેટ હતો અને તેને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

ત્રીજા બનાવમાં કુવાડવા રોડ ઉપર આવેલ મારુતિનગરમાં રહેતા બાબુભાઈ રણછોડભાઈ ઉઘાડ નામના 61 વર્ષના વૃદ્ધ પોતાના ઘરે હતા. ત્યારે રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં હૃદયરોગનો હુમલો આવતા વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં વૃદ્ધનું મોત નીપજતા પરિવાર શોકમાં ઘરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક બાબુભાઈ પાંચ ભાઈ ત્રણ બહેનમાં વચ્ચેટ હતા અને તેમને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત ચોથા બનાવમાં ગોંડલ રોડ પર આવેલ સદભાવના વૃદ્ધાશ્રમમાં આશ્રય લઈ રહેલા રાજેન્દ્રભાઈ ગિરધરભાઈ લખલાણી નામના 63 વર્ષના વૃદ્ધ વૃદ્ધાશ્રમમાં હતા ત્યારે રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં વૃદ્ધનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું તબીબે જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement