M.S. યુનિવર્સિટીના વીસીની નિમણૂક મામલે સરકારને હાઇકોર્ટની નોટિસ
વડોદરાની MS Universityના વાઈસ ચાન્સેલર તરીકે પ્રો.વાસ્તવની નિમણૂંકને આખરે યુનિવર્સિટીની જ એજ્યુકેશન એન્ડ સાયકોલોજી ફેકલ્ટીના અધ્યાપક પ્રો.સતિષ પાઠકે હાઈકોર્ટમાં પડકારી છે.
પ્રો.પાઠકે દાખલ કરેલી પિટિશન બાદ હાઈકોર્ટે રાજ્ય સરકાર, શિક્ષણ વિભાગ તેમજ યુજીસીને નોટિસ આપીને આ મામલાની વધુ સુનાવણી તા.29 જાન્યુઆરીએ રાખવાનો હુકમ કર્યા બાદ યુનિવર્સિટીમાં ખળભળાટ વ્યાપી ગયો છે.
મળતી વિગતો પ્રમાણે પિટિશનમા પ્રો.પાઠકે આક્ષેપ કર્યો છે કે, પ્રો.વિજય વાસ્તવની વાઈસ ચાન્સેલર તરીકે નિમણૂંકમાં નિયમોનુ પાલન કરવામાં આવ્યુ નથી. વાઈસ ચાન્સેલર તરીકે નિમણૂંક માટે પ્રો.વાસ્તવ લાયકાત ધાવતા નથી. કારણકે યુજીસીના નિયમ પ્રમાણે વાઈસ ચાન્સેલર બનવા માટે પ્રોફેસર તરીકે ઓછામાં ઓછો દસ વર્ષનો અનુભવ જરૂરી હોય છે. જ્યારે પ્રો.વાસ્તવ પાસે પ્રોફેસર તરીકે આટલો અનુભવ નથી. સાથે સાથે પિટિશનમાં કહેવામાં આવ્યુ છે કે, વાઈસ ચાન્સેલરની નિમણૂંક કરવા માટે જે સર્ચ કમિટિ બનાવવામાં આવી હતી તે પણ યુજીસીના નિયમો સાથે સુસંગત નથી.
ઉલ્લેખનીય છે કે પ્રો.વિજય વાસ્તવની જ્યારથી વાઇસ ચાન્સેલર તરીકે નિમણૂંક થઇ છે ત્યારથી એમ.એસ.યુનિવર્સિટી વિવાદોનું કેન્દ્ર બની ગઇ છે. સેનેટ અને સિન્ડિકેટને વિશ્વાસમાં લીધા વગર જ આપખુદ શાહી સામે આખી યુનિવર્સિટી ચુપ છે ત્યારે આ અન્યાય સામે પ્રો.પાઠકે મોરચો માંડયો છે.