સુરેન્દ્રનગરમાંથી લાપતા યુવાનની લટકતી લાશ મળી : હત્યાની શંકા
સુરેન્દ્રનગરનાં દુધરેજ નજીક ચુનાના ભઠ્ઠા પાસે રહેતા અને ભુંડ પકડવાનું કામ કરતાં લાપત્તા ચીખલીગર યુવાનની ઝાડ નીચે લટકતી હાલતમાં લાશ મળી આવ્યા બાદ યુવકનું અપહરણ કરી હત્યા કર્યા બાદ લાશને લટકાવી દીધાનો પરિવારજનોએ આક્ષેપ કરતાં પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા યુવાનના મૃતદેહને ફોરેન્સી પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. બીજી બાજુ આ બનાવમાં સાચું શું છે ? તે જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, સુરેન્દ્રનગરના દુધરેજ નજીક ચુનાના ભઠ્ઠા નજીક રહેતા અને ભુંડ પકડવાનું કામ કરતાં ભારતસિંગ શેરસિંગ ભાટીયા (ઉ.30)નામના પંજાબી યુવાન ચાર દિવસથી લાપત્તા હોય આજ સવારે તેની દુધરેજ નજીક ઝાડ નીચે લટકતી હાલતમાં લાશ મળી આવી હતી.
પોલીસને આ બનાવની જાણ થતાં સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ યુવકનો મૃતદેહનો કબજો મેળવી તપાસનો ધમધમાટ શરૂ કર્યોહતો. આ વખતે યુવકના ભાઈ સહિતના પરિવારજનોએ ચાર દિવસથી લાપત્તા ભારતસિંગ ભાટીયાનું અપહરણ કરી હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો.
પોલીસે યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા લાશનો કબજો મેળવી ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. અને તેનો અભિપ્રાય આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે અને તેના આધારે ગુનો દાખલ કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.
પોલીસની વધુ પુછપરછમાં મૃતક યુવાનના ભાઈએ એવો આક્ષેપ કર્યો હતો કે છેલ્લા ઘણા સમયથી ભુંડ પકડવા બાબતે હરિફ જૂથ સાથે માથાકુટ ચાલી આવતી હોય તેના કારણે રાજુસિંગ ટાંક, હિરાસિંગ ઈશ્ર્વરસિંગ, શેરસિંગ ઈશ્ર્વરસિંગ, બહાદુરસિંગ ઈશ્ર્વરસિંગ, કિરતસિંગ રાજુસિંગ અને ગુરૂચરણસિંગ સહિતના શખ્સોએ હત્યા કર્યાનો આક્ષેપ કર્યો છે.
ચાર દિવસ પહેલા ભારતસિંગ ભાટીયાને બગોદરા રહેતો ગુરૂચરસિંગ પોતાની સાથે લઈ ગયા બાદ આજે સવારે તેની સુરેન્દ્રનગરના દુધરેજ નજીક ગંગા ટાઉનશીપ પાસે ઝાડપરથી લટકતી હાલતમાં લાશ મળી આવી હતી. મૃતક યુવાનને સંતાનમાં ચાર દિકરી અને એક દિકરો હોવાનું જાણવા મળ્યું છે.