સાવરકુંડલા યાર્ડમાં મગફળીની મબલક આવક; 600થી 800 ભાવ મળતા ખેડૂતોમાં નિરાશા
સરકાર દ્વારા પોષણક્ષમ ભાવ અને ભાવાંતર યોજનાની માગણી
સાવરકુંડલા કૃષિ ઉત્પાદન માર્કેટિંગ કમિટી (એપીએમસી)માં મગફળીની આવક દિન પ્રતિદિન વધી રહી છે. રોજની સરેરાશ 5,000 મણ જેટલી મગફળી જુદા જુદા ગામોમાંથી ખેડૂતો વેચવા માટે લાવે છે. જોકે, આ વધતી આવકની વિરુદ્ધ ખેડૂતોને મળતા ભાવ ₹600થી ₹800 સુધીના છે, જેમાં ઉચ્ચ ગુણવત્તાની મગફળીને જ મહત્તમ ₹1,000નો ભાવ મળે છે. આ ભાવોને કારણે ખેડૂતો મોટું નુકસાન ભોગવી રહ્યા છે અને તેઓએ સરકાર તરફથી પોષણક્ષમ ભાવ અને ભાવાંતર યોજનાની માગણી કરી છે.
એપીએમસીમાં મગફળી વેચવા આવેલા ખેડૂતો સાથે વાતચીતમાં તેમણે પોતાની વેદના વ્યક્ત કરી. એક ખેડૂતે કહ્યું, અમારી મગફળીના ઉત્પાદનમાં બિયારણ, દવા, મજૂરી અને અન્ય ખર્ચની ગણતરી કરો તો ₹600-700ના ભાવે વેચાણથી અમે નુકસાનમાં જઈએ છીએ. હાલ દિવાળીના તહેવારોને કારણે પૈસાની જરૂૂર છે, તેથી મજબૂરીવશ કેવી જ ભાવે વેચવું પડે છે. અમને ઓછામાં ઓછું ₹1,000થી વધુ પોષણક્ષમ ભાવ મળવો જોઈએ.
એપીએમસીના સેક્રેટરીએ જણાવ્યું, રોજની આવક વધી રહી છે અને સામાન્ય ભાવ ₹600થી ₹800 સુધીના છે. ઉચ્ચ ગુણવત્તાની મગટળીને ₹1,000 આસપાસનો ભાવ મળે છે. જોકે, વરસાદી માવઠાના કારણે પાકને નુકસાન થયું છે, જે ભાવ પર અસર કરે છે. ખેડૂત સમુદાયના પ્રતિનિધિઓએ કહ્યું કે, મગફળીનું વાવેતર તેઓએ સારા ભાવની અપેક્ષાથી કર્યું હતું, પરંતુ વરસાદે તેમની કમર તોડી નાખી છે. દિવાળીના તહેવારોમાં આર્થિક જરૂૂરિયાતને કારણે તેઓ મજબૂરીવશ વેચાણ કરી રહ્યા છે. તેથી, સરકાર તરફથી તાત્કાલિક હસ્તક્ષેપની અપેક્ષા છે જેમ કે પોષણક્ષમ ભાવની જોગવાઈ કે ભાવાંતર યોજનાનો વિસ્તાર જેથી ખેડૂતોની નિરાશા દૂર થાય અને તેઓને ન્યાય મળે.