GPSCનો નિર્ણય: જાતિનું પ્રમાણપત્ર ન હોય તે પણ કેટેગરીમાં અરજી કરી શકશે
GPSC(ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓ દરમિયાન ઉમેદવારો અને પરીક્ષકોને સરળતા રહે તે માટે ત્રણ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. આયોગના ચેરમેન હસમુખ પટેલ દ્વારા ટ્વિટ કરી આ ત્રણેય નિર્ણયો અંગે જાણકારી આપી હતી. જે ભરતીમાં અનુભવની જરુર ન હોય તેમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકશે. આયોગમાં ઈન્ટરવ્યૂ માટે આવતા ઉમેદવારોને નાસ્તો-ભોજન આપવાનો પણ નિર્ણય કરાયો છે.
નિબંધલક્ષી પરીક્ષામાં સારા પરીક્ષક મળે તે માટે પ્રશ્નપત્ર તપાસવાનું મહેનતાણું આયોગ દ્વારા બમણું કરવામાં આવ્યું, આ કામ કરવાની ઈચ્છા ધરાવનાર પરીક્ષકો આયોગનો સંપર્ક કરી શકે છે.છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ પણ અરજી કરી શકે તેવી રજૂઆતને પગલે અનુભવ સિવાયની તમામ ભરતીમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારો અરજી કરી શકે તથા કેટેગરીનું પ્રમાણપત્ર ન હોય તેવા લોકો પણ કેટેગરીમાં અરજી કરી શકે તેવો નિર્ણય આયોગે લીધેલો છે. આયોગમાં ઈન્ટરવ્યૂ આપવા આવનાર ઉમેદવારોને સવારે નાસ્તામાં ફળો તથા બપોરે જમવાનું આપવામાં આવશે.
હસમુખ પટેલ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા હોય છે અને તેઓ યુવાનોનો અને પોતાની વચ્ચે અંતર ન રહે તે માટે નાનામાં નાની બાબતનો ઉલ્લેખ કરતા રહે છે. અગાઉ ગૌણ સેવામાં જ્યારે તેઓ સેવા આપતા હતા ત્યારે પણ નાની-નાની બાબતોને લઈને યુવાનોને અડચણ ન પડે તે માટે સતત જરુરી માહિતી શેર કરતા રહેતા હતા. હવે તેઓ GPSCના ચેરમેન બન્યા છે અને નવી જવાબદારી સંભાળી છે ત્યાં પણ તેઓ યુવાનોને પરીક્ષાને અનુલક્ષીને જરુરી માહિતી આપતા રહે છે, જો ઉમેદવારો તરફથી કોઈ શંકા કે સમસ્યા હોય તે અંગે પણ તેઓ માહિતી આપતા રહે છે. આ સિવાય ઈન્ટરવ્યૂ, પરીક્ષા, ફોર્મ ભરવું, નવી જાહેરાત વગેરે અંગે પણ માહિતી આપતા રહે છે.