સરકાર બદલી નહીં કરી શકતા 7 IPSને લીવ રિઝર્વમાં મૂકી દેવાતા ચાર્જ અન્યને સોંપાયા
- ગુજરાતમાં ચૂંટણી ટાણે પ્રથમ વખત સર્જાઇ વિચિત્ર સ્થિતિ
લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા ચુંટણી પંચે ત્રણ વર્ષથી એક સ્થળે ફરજ બજાવતા હોય તેવા અધિકારીઓ- કર્મચારીઓની બદલી કરવા સુચના આપી હોવા છતાં ગુજરાત સરકાર આઇપીએસ અધિકારીઓની બદલી નહીં કરી શકતા ચૂંટણી જાહેર થતાની સાથે જ ચુંટણી પંચે ગુજરાતનાં સાત આઇપીએસ અધિકારીઓને લીવ રિઝર્વમાં મુકી દીધા હતા. જેના કારણે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત વિચિત્ર સ્થિતિ સર્જાયેલ છે.
હાલ રાજયના સાત આઇપીએસને લિવ રિઝર્વમાં મુકી તેના ચાર્જ અન્ય અધિકારીઓને સોંપવામાં આવ્યા છે. રાજયમાં આ ઘટનાક્રમ આઇપીએસ લોબીમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે અને આઇપીએસ અધિકારીઓની બહુપ્રતિક્ષિત બદલીઓ અને પોસ્ટિંગ હજુ બાકી છે. હવે બોલ ચૂંટણી પંચના કોર્ટમાં છે. બદલીઓને આખરી ઓપ આપવા માટે એક-બે દિવસમાં ઇડીના અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાશે. ઉલ્લેખનીય છે કે સુરત રેન્જ આઈજી, સુરત પોલીસ કમિશનર, અમદાવાદ, આણંદ અને મહેસાણાના એસપી ઉપરાંત અન્ય કેટલીક જગ્યાઓ છેલ્લા ઘણા સમયથી ખાલી છે. આઈપીએસ લોબી આતુરતાપૂર્વક બદલીની રાહ જોઈ રહી હતી પરંતુ હાઈકમાન્ડ તરફથી લીલી ઝંડી મળી ન હતી. આ દરમિયાન, એક જ હોદ્દા પર ત્રણ વર્ષ કે તેથી વધુ વર્ષ પૂર્ણ કરનારા ઘણા અધિકારીઓને લીવ રિઝર્વ પર મૂકવામાં આવ્યા છે. આ અધિકારીઓમાં અમદાવાદ રેન્જ આઈજી પ્રેમવીર સિંહ, અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી (ઝોન 1) લવિના સિન્હા, એસીપી (સેક્ટર-1) ચિરાગ કોરાડિયા અને બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલિયા છે.
રાજ્યના 7 પોલીસ અધિકારીઓને ચાર્જ છોડવા આદેશ અપાયા છે. તમામ 7 અધિકારીઓએ તત્કાલ ચાર્જ છોડી દેતા અન્ય અધિકારીઓને ચાર્જ સોંપવામાં આવ્યો છે. એડિશનલ સીપી, અમદાવાદ ચિરાગ કોરડીયાનો ચાર્જ સ્પેશિયલ બ્રાન્ચના જેસીપી અજય ચૌધરીને સોંપાયો
એડિશનલ સીપી, અમદાવાદ ચિરાગ કોરડીયાનો ચાર્જ સ્પેશિયલ બ્રાન્ચના જેસીપી અજય ચૌધરીને સોંપાયો છે, અમદાવાદ રેન્જ આઇજી પ્રેમવિર સિંઘનો ચાર્જ અમદાવાદ શહેર સેકટર 1 જેસીપી બ્રાજેશ ઝાને સોંપવામાં આવ્યો છે.બોર્ડર રેન્જ આઈજી જે આર મોથલિયાના સ્થાને કચ્છ ભુજ એસપી મહેન્દ્ર બગડીયાને સોંપવામાં આવ્યો છે. ડીસીપી ક્રાઇમ ચૈતન્ય માંડલિકનો ચાર્જ સાયબર ક્રાઇમ ડીસીપી અજિત રાજિયનને સોંપાયો છે.
ઝોન 1 ડીસીપી લવીના સિંઘનો ચાર્જ ઝોન 7 ડીસીપી તરુણ દુગગલને સોંપવામાં આવ્યો છે. એસઆરપી ગ્રુપ ચારના કમાન્ડન્ટ મનીષસિંઘનો ચાર્જ એસઆરપી ગ્રુપ 4 ના ડીવાયએસપીને સોંપવામાં આવ્યો છે.એસઆરપી ગ્રુપ 11ના કમાન્ડન્ટ ઉષા રાડાનો ચાર્જ એસઆરપી ગ્રુપ 11ના ડીવાયએસપીને સોંપવામાં આવ્યો. ચાર્જ મુક્ત કરાયેલ તમામ અધિકારીઓને પ્રતીક્ષા યાદીમાં મુકવામાં આવ્યા છે.