ગોંડલના પરંપરાગત લોકમેળાનો પ્રારંભ
વીમા કવચ અને લૂંટ મેળો ન બને તેવી સામાજિક કાર્યકરની રજૂઆત
ગોંડલમાં પરંપરાગત રીતે યોજાતા લોકમેળાનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. મેળામાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગઈકાલે રાજકોટથી ખાસ મિકેનિકલ એન્જિનિયરોની ટીમે મેળો શરૂૂ થાય તે પહેલાં જ તમામ રાઇડ્સનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.
શહેરના કોલેજ ચોક ખાતે આવેલ સંગ્રામસિંહજી હાઈસ્કૂલના મેદાનમાં આયોજિત આ ઐતિહાસિક લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવે તે પહેલાં, રાજકોટથી આવેલી નિષ્ણાત ટીમે દરેક રાઇડના નાના-મોટા પાર્ટ્સ, ફિટિંગ્સ અને મજબૂતીની ઝીણવટભરી તપાસ કરી હતી.
તો બીજી બાજુ લોકોની સુરક્ષા ધ્યાને રાખી સામાજીક કાર્યકર કરશનભાઈ મકવાણાએ મામલતદાર સહિતના અધિકારીઓને પરંપરાગત યોજાતો લોકમેળામાં ભાવબાંધણુ વિમા કવચ તેમજ યાંત્રીક રાઈડસના એસઓપી સહિતની સલામતી માટે તકેદારી રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી અન્યથા લૂંટ મેળો બને તેવી દહેશત વ્યકત કરી હતી.
તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 2 પી.આઈ. 4 પી.એસ.આઈ., 150 પોલીસ જવાનો, 50 હોમગાર્ડ, 10 ટી.આર.બી. અને 16 એસ.આર.પી.ના જવાનો ખડેપગે રહેશે.
આ ઉપરાંત, 4 વોચ ટાવર પરથી પણ સતત નિરીક્ષણ કરવામાં આવશે.લોકમેળાને લઈને ટ્રાફિક ડાયવર્ઝન મેળાના 7 દિવસ દરમિયાન કોલેજ ચોક આસપાસના માર્ગો પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં સેન્ટ્રલ સિનેમા ચોક, શ્યામવાડી ચોક, રિવર પેલેસ અને જાગૃતિ સ્કૂલથી કોલેજ ચોક તરફ આવતા માર્ગોનો સમાવેશ થાય છે.
ગોંડલમાં જન્માષ્ટમીની રજામાં બે દિવસ પાણી કાપ
ગોંડલમાં જન્માષ્ટમી તહેવારમાં બે દિવસ શહેરમાં પાણી વિતરણ બંધ રહેશે. નગરપાલિકા વોટરવર્કસ કમીટીનાં ચેરમેન શૈલેષભાઈ રોકડની યાદીમાં જણાવ્યાં મુજબ આગામી તા.15 તથા 16 સાતમ આઠમનાં જન્માષ્ટમીનાં તહેવારની રજા હોય સમગ્ર શહેરમાં પાણી વિતરણ બંધ રહેશે. તા.17 થી પાણી પુરવઠો પૂર્વવત બનશે. લોકોએ સહકાર આપવા યાદીમાં જણાવ્યું છે.